ખેડૂતોએ મગફળી વાવવાનું બંધ કર્યું: શહેર નજીકના ગામડાઓમાં વધુ ત્રાસ
મગફળીમાં સૂયામાં ડોડવા- મગફળીની સીંગ લાગતા ભૂંડ જમીનમાંથી ખોદી નાખે છે
ગુજરાત રાજ્યમાં ખેતી પાકને એક બાજુ રોઝડા, રખડતાં ઢોરને તેમાં સૌથી વધુ ભૂંડના કારણે ગંભીર રીતે પાકને નુકસાની થઇ રહી છે. એક અંદાજ મુજબ રાજયમાં ભૂંડથી આશરે ૩૦૦૦ કરોડની નુકસાની મગફળીના એકલા પાકને થાય છે.
રાજ્યમાં ૧૫ લાખ હેકટરમાં મગફળી ખેડૂતો વાવે છે. મગફળીમાં સૂયામાં ડોડવા- મગફળીની સીંગ લાગતા તેને ભૂંડ જમીનમાંથી ધારદાર મોઢા તેમ જ નખથી ખોદી પારાવાર નુકસાની કરી રહ્યા છે. રાજ્યમાં ૧૮૦૦૦ ગામડામાં ૯૦ ટકા ગામોમાં ભૂંડનો ભયાનક ત્રાસથી ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠેલ છે. તેમાં દર વર્ષે ભૂંડની વસતી વધતી જાય છે. જેના કારણે ખેડૂતોને તૈયાર પાક ગુમાવવા પડે છે.
મગફળી સહિત અન્ય પાકને નુકસાની કરે છે. જે ૧૫ લાખ હેકટરમાં ઓછામાં ઓછી ૨૦ ટકા એટલે કે ૩ લાખ હેકટરથી વધુ વિસ્તારમાં મગફળીને ભૂંડ દ્વારા નુકસાની થઇ રહેલ છે. બીજા શબ્દોમાં કહીએ તો રાજ્યના ૧૮ ગામોમાંથી આશરે ૩ હજાર ગામોને ૩ હજાર કરોડની ભૂંડના કારણે પાકને નુકસાનીનો દર વર્ષે અંદાજ છે. દેશમાં ૧ કરોડ અને ગુજરાતમાં ૪ હજાર ભૂંડ હોવાનો કૃષિ વિભાગનો એક અહેવાલ છે.
જો કે આ આંકડા શંકાસ્પદ છે. જે ૧ કરોડમાંથી ગુજરાતમાં ખરેખર તો દેશના ૭ ટકાના પ્રમાણે ૭ લાખ ભૂંડ હોવા જોઇએ. ગામડાઓમાં સંખ્યા જોતા તો ૧૧ લાખથી વધુ હોઇ શકે. ખેડૂતોના અનુભવો કહે છે કે ગામમાં ૫૦ થી ૧૦૦ ભૂંડ જોવા મળતા હોય છે. ભૂંડના ત્રાસનાં કારણે ઘણા વિસ્તારોમાં તો મગફળીનું વાવેતર બંધ થઇ ગયું છે. સરકારે ભૂંડ નાબુદી યોજના અમલમાં લાવવી જોઇએ. ભૂંડને મારવાની છૂટ આપવી, ખેડૂતોને હથિયાર આપવા, ભૂંડની નુકસાનીનું વળતર આપવું, ભૂંડને જંગલ વિસ્તારમાં છોડી મૂકવા, જેથી હિંસક પ્રાણીઓને ખોરાક મળે.
સરકારે ભૂંડના ત્રાસથી છોડાવવા પગલા ભરવા જોઇએ.