ગુરુગાદી થરા ખાતે 30/31 જાન્યુ.એ મોરબી જિલ્લાના 145 નવયુગલો લગ્નગ્રંથિથી જોડાશે
ભગવાનશ્રી કૃષ્ણ ગોકુલ છોડીને નિકળ્યા ત્યારે પ્રથમ પડાવ કાંકરેજ તાલુકાના થરા ખાતે નાખ્યો હતો
ભરવાડ સમાજનું સંગઠન બહુ મજબૂત મનાય છે .ભરવાડ સમાજની ગુરૂગાદી થરા ખાતે ગ્વાલીનાથ મહાદેવના સાંનિધ્યમાં આગામી તા.30 અને 31 જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લાના 145 દંપતિ સહિત 3001 નવયુગલો લગ્નગ્રંથિથી જોડાશે. ભવ્યાતિભવ્ય આયોજન ભાગવત કથા, પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સહિતના કાર્યક્રમો માટે 850 વિધા વિશાળ જમીન તૈયાર કરવામાં આવી છે, આ અદભુત સમારોહની ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પામશે.
900 વર્ષ પૂર્વ ભરવાડ સમાજની ગુરૂગાદી થરા(જી.બનાસકાંઠા) ખાતે ગ્વાલીનાથ મહાદેવના સાનિધ્યમાં સૌપ્રથમ જંગવિવાહ(સમુહલગ્ન) યોજાયો હતો. જેમાં 3009 દિકરીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા. એજ સ્થાન ઉપર બીજો જંગવિવાહ આગામી તારીખ 30-1-2023 અને 31-1-2023ના રોજ યોજાઇ રહયો છે. જેમાં સમગ્ર ગુજરાત-મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી 3001 દિકરીઓ એક સાથે પ્રભુતામાં પગલા માંડશે. આ ઐતિહાસિક મંગલ ઘડીના સાક્ષી બનવા અને સમુહલગ્ન તેમજ ધાર્મીક ઉત્સહમાં જોડાવા સમસ્ત માલધારી સમાજને આહવાન કરવામાં આવ્યુ છે.
આ જાજરમાન સમુહલગ્નનું વર્લ્ડ ગીનીસ બુકમાં નોમીનેશન કરવામાં આવશે. અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાનશ્રી કૃષ્ણ જયારે ગોકુલ છોડીને નિકળ્યા ત્યારે પ્રથમ પડાવ બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના થરા ખાતે નાખ્યો હતો. જયાં ભગવાન શ્રીકૃષ્ણના હસ્તે ગ્વાલીનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. આ ઐતિહાસિક સ્વયંભુ મહાદેવની પુન:પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ભરવાડ સમાજની ગુરૂગાદીના બ્રહ્મલીન મહંત પરમ પૂજય શિવપુરી બાપુનો ભંડારો પણ યોજાશે. ગુરૂગાદી થરાના પરમપૂજય ધનશ્યામપુરીબાપુ ગુરૂ શિવપુરીબાપુના આશિર્વાદ અને સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ યોજાનાર 1000 દિકરીઓના સમુહલગ્ન, શ્રીમદ્ ભાગવત કથા, ગ્વાલીનાથ મહાદેવની પુન:પ્રાણપ્રતિષ્ઠા, મહારૂદ્રી યજ્ઞ તથા શિવપુરીબાપુનો ભંડારો આ તમામ ધાર્મીક ઉત્સવના યજમાન બેચરભાઈ તેજાભાઇ ગમારા(અમદાવાદ) છે. આ સમગ્ર ધાર્મીક ઉત્સવને ગ્વાલીનાથ મહાદેવ થરાનો સમૈયો એવું નામ આપવામાં આવ્યું છે.