નવી દિલ્હી: સહારા જૂથની ચાર સહકારી મંડળીઓમાં જમા પોતાના પૈસા પરત મેળવવા માટે શરૂ કરાયેલા પોર્ટલ પર અત્યાર સુધીમાં 7 લાખ રોકાણકારોએ નોંધણી કરાવી છે.
આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 150 કરોડ રૂપિયાના દાવા મળ્યા છે. સહારા જૂથની 4 સહકારી મંડળીઓમાં જમા કરાયેલા રોકાણકારોના નાણાં પરત કરવા માટે આ પોર્ટલ થોડા દિવસો પહેલા શરૂ કરવામાં આવ્યું છે.
અમિત શાહે 18 જુલાઈના રોજ ‘CRCS-સહારા રિફંડ પોર્ટલ’ લોન્ચ કર્યું છે. સરકારે માર્ચમાં કહ્યું હતું કે, 4 સહકારી મંડળીઓના 10 કરોડ રોકાણકારોને 9 મહિનામાં તેમના પૈસા પાછા મળી જશે. અગાઉ, સુપ્રીમ કોર્ટે સહારા-સેબી રિફંડ ખાતામાંથી 5,000 કરોડ રૂપિયા સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝ (CRCS)ના ખાતામાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં સહારાના 7 લાખ રોકાણકારોએ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ અંતર્ગત કુલ 150 કરોડ રૂપિયાની રકમનો દાવો કરવામાં આવ્યો છે.