જડેશ્વર રોડ ઉપર વડસર નજીક ગઈકાલે દીપડાએ દેખા દીધી હતી અને એક નીલગાયના બચ્ચાનો શિકાર કરતા ચીસાચીસ સાંભળી માલધારીઓ દોડી આવતા દીપડો શિકાર છોડી નાસી ગયો હતો અને ઘાયલ નીલગાયના બચ્ચાને બચાવી લીધું હતું.
વાંકાનેર પંથકના વીડી વિસ્તારમાં દીપડાનો કાયમી વસવાટ છે અને છાસવારે શહેરી વિસ્તારમા પણ ચડી આવે છે, ત્યારે તાજેતરમાં જ વાંકાનેરના પેડક વિસ્તારમાંથી બે દીપડા પાંજરે પુરાયા બાદ ગઈકાલે રાત્રીના સમયે વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર વડસરની દરગાહ પાસે દીપડાએ દેખા દીધી હતી અને દીપડાએ નીલગાયના બચ્ચાનો શિકાર પણ કર્યો હતો. જો કે નજીકમાં જ રહેતા માલધારી પરિવારને ચીસાચીસનો આવજ સંભળાતા દીપડાને ખદેડી મૂકી નીલગાયના બચ્ચાનો જીવ બચાવી લીધો હતો. બનાવ અંગે વાંકાનેર ફોરેસ્ટ વિભાગના અધિકારી નરોડીયાભાઈનો સંપર્ક સાધતા જડેશ્વર વિસ્તારમાં દીપડાનો કાયમી વસવાટ હોવાનું તેમને જણાવ્યું હતું.