વાંકાનેર તાલુકામાં ઢુવા, સરતાનપર, માટેલ વિસ્તારોમાં અનેક કારખાના આવેલ છે. જેમાં મોટા ભાગે રાજ્ય બહારના મજૂરો કામ કરવા આવે છે. આ કારખાનામાં અકસ્માતે પડી જવાના અથવા મશીનમાં આવી જવાના બનાવો છાસવારે બને છે, અને ઝીંદગીથી હાથ ધોઈ બેસે છે. આ મજૂરોને પછીથી કોઈ વળતર મળે છે કે કેમ અને મળે છે તો કેટલું, એ વિષે કોઈ માહિતી બહાર આવતી નથી. રાજ્ય બહારના આ મજૂરોમાં કેટલાક ગુન્હાહિત માનસ પણ ધરાવતા હોવાથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જેટલા ગુન્હા નોંધાય છે, તેમાં આ વિસ્તારના અગ્રેસર હોય છે.
આવા જ એક બનાવમાં મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપરના નિધિ માઇક્રોન નામના યુનિટમાં કામ દરમિયાન પડી ગયેલ મજૂર યુવાનનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપર નિધિ માઇક્રોન નામના યુનિટમાં કામ દરમિયાન પડી જવાથી લાલજીભાઈ દશરથભાઈ સરોજ નામના 35 વર્ષના યુવાનનું મોત નિપજતા ડેડબોડી પીએમ માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યુ હતું જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલચરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.