ટ્રાન્સપોર્ટ ધંધાર્થીઓ અંદરો અંદર ઝઘડેલા: મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટનો ચુકાદો
વાંકાનેર નજીક આવેલ ચામુંડા ટ્રાન્સપોર્ટમાં પ્રાઈવેટ નોકરી કરતાં ફરિયાદી ત્યાં નોકરી છોડીને તેની અલગથી ટ્રાન્સપોર્ટની ઓફીસ શરુ કરેલ હતી અને જુના ગ્રાહકો ફરીયાદીની ઓફીસે જતા હતા જે આરોપીઓને સારુ નહી લાગતા એકસંપ કરી આ કામના ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરીયાદીને મારી નાખવાના ઈરાદે બોલેરો પીક અપમાં બેસાડી અપહરણની કોશીશ કરી રાણેકપર ગામના બોર્ડ પાસે ફરિયાદીને ઉતારી નાશી ગયા હતા.
જેની ફરિયાદ પણ નોંધાઇ હતી અને આ કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતાં બધા જ આરોપીઓનો નિર્દોષ છુટકારો થયેલ છે.
આ બનાવમાં આરોપીઓ નારણ કરમશીભાઈ રાઠોડ, નીતીન નારણભાઈ રાઠોડ. ચીરાગ નારણભાઈ રાઠોડ અને જીગ્નેશ રૈયાભાઈ ટોટાનાઓની ધરપકડ કરી હતી અને તેની સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, ૩૬૫, ૫૧૧ તથા જી.પી એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો જે કેસ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલ હતો.
આરોપી વતી મોરબીના યુવા વકીલ જીતેન ડી. અગેચાણીયા રોકાયેલ હતા અને ફરીયાદી પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ હતી અને તમામ પુરાવાના અંતે આરોપીઓના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે, આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુદ્ધની અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે.
અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. અને ફરીયાદી પક્ષે પોતાનો કેસ શંકા રહીત પુરવાર કરવો જોઈએ જે કરી શકેલ નથી. તેમજ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરી દલીલ કરેલ કે જયા સુધી આરોપીઓ વિરુદ્ધનો કેસ શંકા રહીત પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીને સજા ન કરી શકાય જે દલીલોને ધ્યાને લઈને કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.