આંગણવાડીની લાખો બહેનો કર્મચારી જ ગણાશે, આંગણવાડી વર્કરને મળશે ગ્રેચ્યુઈટી
સુપ્રીમકોર્ટમાં હારી ગઈ સરકાર! ગુજરાત સહિત દેશભરમાં આંગણવાડી વર્કર તરીકે કામ કરતી બહેનોની સૌથી મોટી જીત થઈ છે
સુપ્રીમકોર્ટે તેમનાં હકમાં ખુબ મોટો ફેંસલો સંભળાવ્યો છે. જેને કારણે હવે તેમનું જીવન ધોરણ બદલાઈ જશે
અમદાવાદઃ આંગણવાડીની લાખો બહેનો હવે કર્મચારી જ ગણાશે.આંગણવાડી કર્મચારી તરીકે કામ કરતી લાખો બહેનોના હકમાં દેશની સર્વોચ્ચ અદાલત એટલેકે, સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત સરકારે કરેલી પુનઃ વિચારણાની અરજીને કોર્ટે કાઢી નાંખી છે. સુપ્રીમકોર્ટે ચુકાદામાં એ મુપદ્દો પણ ટાંક્યો છેકે, માનદ વેતને માત્ર માનદ વેતન ન ગણી શકાય, ICDSને પ્રોજેક્ટ નહીં પણ સંસ્થા ગણવી પડશે.
જેથી સરકારે લાખો આંગણવાડીની બહેનોને ગ્રેચ્યુઈટી ફરજિયાત ચુકવવી પડશે. સુપ્રીમકોર્ટે તા.25 એપ્રિલ, 2022ના રોજ આંગણવાડીના વર્કરો અને હેલ્પરોને ગ્રેજ્યુઈટી એક્ટમાં સમાવી લીધા બાદ ગુજરાત સરકારે સુપ્રીમકોર્ટમાં 7 સપ્ટેમ્બર, 2022ના રોજ પુનઃ વિચારણા અરજી દાખલ કરી હતી. જેમાં સમગ્ર દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમકોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના તથા જસ્ટિસ અભય ઓકાની બેંચે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ડિસમિસ કરી છે.
સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદોઃ
સુપ્રીમકોર્ટે આપેલો આ ચૂકાદો ઐતિહાસિક છે કારણ કે ચૂકાદામાં આંગણવાડી વર્કર અને હેલ્પરને માનદ સેવકને બદલે સ્ટેચ્યુટરી ફરજ બજાવતા હોય નોકરિયાત ગણવામાં આવ્યા છે અને તેઓને મળતા માનદ વેતનને વેતન ગણાવ્યું છે, ICDSને પ્રોજેક્ટ નહીં પરંતુ સંસ્થા ગણાવી છે.
કોર્ટમાં કરાઈ હતી પિટિશનઃ
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સુપ્રીમકોર્ટમાં તા.25 એપ્રિલ, 2022ના રોજ એક પિટિશન દાખલ કરવામાં આવી હતી જેમાં ગુજરાત સહિત દેશભરના આંગણવાડી વર્કર અને હેલ્પરોને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ લાગુ પાડી, નિવૃત્ત થયેલ રાજીનામું આપેલા કે અવસાન પામેલા વર્કર હેલ્પર ને અન્ય કર્મચારીઓની જેમ ગ્રેજ્યુએટી ચૂકવવાનો આદેશ આપ્યો હતો પરંતુ તેની સામે સુપ્રીમકોર્ટમાં ગુજરાત સરકારે પુનઃવિચારણા માટે અરજી આપી હતી જેમાં દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમકોર્ટે આ અરજી કાઢી નાખી છે અને આ રીતે રિવ્યૂ પિટિશન ડિસમીસ કરતા ગુજરાતની એક લાખ સહિત દેશની લાખો આંગણવાડી બહેનોને ગ્રેજ્યુએટી ચૂકવવાના પ્રશ્ને અંતિમ કાનૂની વિજય થયો છે.