નિવૃત-મૃત્યુ પામેલ શિક્ષકોને આપેલ સિલેક્શન ગ્રેડના એરિયર્સમાં કટકી
વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખા જાણે ભ્રષ્ટાચારનો પર્યાયી બની ગઈ હોય એમ એક પછી એક ભયંકર ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં વધુ એક ભ્રષ્ટાચાર સામે આવેલ છે. જે સાંભળીને હૈયું હચમચી ઉઠે તેમ છે. કેમ કે , આ કૌભાંડીઓએ ભ્રષ્ટાચાર કરીને નિવૃત થયેલા અને મૃત્યુ પામેલા શિક્ષકોને એમના વારસદારોને નામદાર ન્યાયલયના આદેશ અન્વયે ઈ. સ.૧૯૮૭ થી ઈ.સ. ૧૯૯૪ સુધીમાં નિવૃત થયેલા શિક્ષકોને સિલેક્શન ગ્રેડ આપવાનો હતો, તેમાંથી પણ કટકી કરેલ છે.
મીડિયા અહેવાલ મુજબ વાંકાનેર તાલુકાનાં નિવૃત થયેલા અને મૃત્યુ પામેલા શિક્ષકોને એરિયર્સની રકમ આપવાની હતી. જેમાં કેટલાક શિક્ષકોનું અવસાન થયું હોય એવા શિક્ષકોના એરિયર્સની રકમ એમના વારસદારને ચુકવવાની હતી. નિયમ અને નાણાંકીય વપરાશના ઔચિત્યના સિદ્ધાંતો મુજબ નિવૃત્ત થયેલ કર્મચારીઓને એમને નિવૃત્તિ પછીના નાણાંકીય લાભો જે તે કર્મચારીઓના નામે વ્યક્તિગત ચેક કાઢીને ચુકવવાના હોય છે, એમાં આ ભ્રષ્ટાચારી લોકોએ એવી કળા કરી છે કે, નિવૃત થઈને મૃત્યુ પામેલ એક શિક્ષકને સિલેક્શન ગ્રેડના ઉ.પ.ધો. વ્યાજ ચૂકવણા એરિયર્સની રકમ રૂપિયા ૩,૨૯,૫૫૬ પુરા થતું હતું, એમાં આ ભ્રષ્ટાચારીઓએ તા.૧૭.૦૬.૨૦૧૯ ના રોજ બેંક ઓફ ઇન્ડિયાનો ચેક નંબર ૩૭૨૮૮૨ P.L.A. OF T.D.O. વાંકાનેરનો ચેક કાઢ્યો હતો, જેની સાથે સ્ટેટમેન્ટ જોડયું, લિસ્ટ જોડયું, જેમાં જે શિક્ષકને કુલ ૩,૨૯,૫૫૬ ચુકવવાના હતા; એ ચેકની પૈકીએ મૃત્યુ પામેલ શિક્ષકના વારસદારનું નામ ખાતા નંબર અને ૨,૮૯,૫૫૬ રકમ લખી અને બાકીની ૪૦૦૦૦ ની કટકી કરીને પટેલ હિમાંશુ નારાયણભાઈના ખાતા નંબર ૩૧૩૧૧૦૧૧૦૦૧૬૫૮૧ માં જમા કર્યા હતા.
નવાઈની વાત તો એ છે કે આ સિલેક્શન ગ્રેડ ઈ.સ. ૧૮૮૭ થી ૧૯૯૪ સુધીમાં નિવૃત્ત થયેલા શિક્ષકોને ચૂકવવાના હતા, પણ આ હિમાંશુ પટેલ એ વખતે શિક્ષક તરીકેની નોકરીમાં પણ ન હતા, તો પછી ચાલીસ હજાર તેના ખાતામાં શા માટે જમા કરવામાં આવ્યા? તે તપાસનો વિષય છે. સિલેક્શન ગ્રેડ એરિયર્સ ચુકવવામાં કટકી કરવાના આવા તો ઘણા કિસ્સાઓ તપાસ કરવામાં આવે તો સામે આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. જો કે, અનેક કૌભાંડ સામે આવેલ છે, તો પણ અધિકારીઓએ કે પદાધિકારીઓ દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી તે પણ તપાસનો વિષય છે.