ધારાસભ્ય આગળ આવે: લોકલાગણી
એફઆરઆઈ નોંધાયાના પંદર પંદર દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર
વાંકાનેર: શિક્ષણ જગતને કલંકિત કરનાર શિષ્યવૃતિ કૌભાંડના ભ્રષ્ટાચારી આરોપીઓ વિરુદ્ધ એફઆરઆઈ નોંધાયાના પંદર દિવસ બાદ પણ સરકારી કર્મચારી એવા આરોપીઓ પોલીસ પકડથી દુર રહેતા શિક્ષક આલમમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠી છે.
મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખાના ચાલુ વર્ષના ઓડિટ શિષ્યવૃતિ હડપ કરવાની સાથે અનેક સરકારી ગ્રાન્ટ સહિતના નાણાંકીય વ્યવહારોના ઓડિટ પેરા નીકળતા વર્ષ – 2017 થી 2020 સુધી લાખો રૂપિયાના થયેલ ભ્રષ્ટાચાર સંદર્ભે છેલ્લા ચારેક માસથી અધિકારીઓએ તપાસ કરી હતી,તમામ શાળાઓના નાણાંકીય રેકર્ડ, આરોપીઓ તેમજ એમના સગા વ્હાલા કે જેમના ખાતામાં સરકારી નાણાં જમા કરેલ હતા એમના તમામ બેંકોના,તમામ ખાતાઓના સ્ટેટમેન્ટ,તાલુકા પંચાયતના બિલો વગેરે તપાસ કરી લીધા બાદ જેમના ખાતામાં સરકારી નાણાં અનધિકૃત રીતે તેર જેટલા લોકોના બેંક એકાઉન્ટમાં જમા કરેલ હતા એમને તથા એ વખતના તાલુકાના વહીવટી અધિકારીઓ એમ સોળ જેટલા લોકોના નવમી મેં ના રોજ નિવેદનો લીધા બાદ ફોજદારી ફરિયાદ નોંધાઇ હતી.
વધુમાં અખબારમાં આવેલા અહેવાલો બાદ વર્ષ-2017 થી 2020 સુધી તાલુકા પંચાયતમાં વહીવટી કામગીરી કરતા માત્ર ત્રણ શિક્ષકો અબ્દુલ શેરસિયા,અરવિંદ પરમાર હિમાંશુ પટેલને ભ્રષ્ટાચાર બાબતે જવાબદાર ઠેરવી ગત ત્રીજી જૂનના રોજ ફોજદારી રાહે ગુનો નોંધાયા બાદથી ત્રણ આરોપીઓ ગુમ થઈ ગયેલ છે,દરમ્યાન હાલ સીઆરસી તરીકે પ્રતિનિયુક્તિથી ફરજ બજાવતા અબ્દુલ શેરસિયાની પ્રતિનિયુક્તિ રદ કરી જિલ્લા પંચાયતના હવાલે મૂકી દીધા બાદ એમનો હુકમ પંચ રોજકામ કરી અધિકારીઓએ બજવવના અહેવાલ સાંપડી રહ્યા છે, પણ અહીં સવાલ એ છે કે ત્રણેય સરકારી શાળાના શિક્ષકો હોય,વેકેશન બાદ શાળાઓ શરૂ થઈ ગઈ હોય એમની રજાઓનું શું?રજા રિપોર્ટ મુક્યા કે કેમ? રજા રિપોર્ટ મુક્યા તો કોણ આપી ગયું? રજા મંજૂર કરી કે નહીં? વગેરે યક્ષ પ્રશ્નો છે,સરકારી નોકરિયાત આરોપીઓને પોલીસ પકડી શકતી નથી કે પકડવામાં ઢીલી નીતિ રાખી રહી છે ? આવા અનેક સવાલો થઈ રહ્યા છે.
બાળકોના રૂપિયા ખાઈ જનાર પર અધિકારી પદાધિકારીઓના આશીર્વાદ વરસી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે આ કેસમાં હવે પોલીસ તંત્ર કેવી કડકાઈ દાખવે છે તે જોવું રહ્યું.
આ સમગ્ર પ્રકરણમાં લોકોમાં એવી છાપ પડી છે કે મુખ્ય મનાતા સૂત્રધારને બચાવી લેવાયા છે. ભ્રષ્ટાચારનો આંક પણ ઓછો બતાવાયો છે. શિક્ષણ જેવા મહત્વના ક્ષેત્રના ચર્ચાતા આ મામલે હવે વાંકાનેરના ધારાસભ્ય અંગત રસ લઈને મૂળ સુધી પહોંચી ગુન્હેગારોને નસીયત અપાવે, એવી લોકલાગણી છે.