મનગમતી પ્રવૃતિ એ જ જીવન
વાંકાનેરમાં પાંચ દાયકાથી ચિત્ર કળા ક્ષેત્રે કાર્યરત આર્ટિસ્ટે સતત પ્રવૃતિમય રહેવાથી ગંભીર પ્રકારની બીમારીઓને પણ બિન અસરકારક બનાવી શકાય છે, તેવો પ્રેરણાદાયી સંદેશ કેન્સરગ્રસ્ત દર્દીઓને આપ્યો છે..
વાંકાનેરનાં કિશોરચંદ્ર કે. ભટ્ટી ( ભટ્ટી આર્ટ ) ઉ.વ. ૮૦ કેન્સરની સફળ સર્જરી અને રેડિએશન લીધા બાદ તરત જ ચિત્રકામ ઘેર બેઠા શરૂ કરી દીધું, વર્ષોથી કરવામાં આવતી પોતાની મનગમતી પ્રવૃતિ ચિત્રકામ હિમ્મતપૂર્વક પુનઃ શરૂ કરતાં જ તેઓને એક પ્રકારની માનસિક હિંમત મળવા લાગી, ધીમે ધીમે તેઓ રોજિંદા કાર્યો પુનઃ પહેલાની માફક જ કરવા લાગ્યા, ચાલીને બહાર પણ જવા લાગ્યા, 
દેવ દર્શન, ઘર વપરાશની ચીજ વસ્તુઓ પણ પોતે ચાલીને લેવા જાય, ત્યારે એકંદરે આ બધું પોતાની મનગમતી પ્રવૃતિ ચિત્રકામ શરૂ કરવાથી શક્ય બન્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે, વાંકાનેરનાં આ આર્ટિસ્ટે વર્ષો પહેલાં વાંકાનેરની વિદ્યાભારતી શાળામાં ડ્રોઈંગ ટીચર તરીકે પણ ફરજ બજાવી હતી, સમયાંતરે નિવૃતિ બાદ કેન્સરનાં સામાન્ય લક્ષણો દેખાતા સર્જરી કરવામાં આવી અને ત્યાર બાદ રેડિયેશનની કપરી પરિસ્થિતિ પણ કુદરતી કૃપાથી પસાર થઈ, અને થોડા દિવસો બાદ ઘેર બેઠા જ ચિત્રકામ શરૂ કર્યું !!
હાથમાં પેન્સિલ લઈ નોટબુક કે ડ્રોઈંગ પેપરમાં લાઈનિંગ વર્ક ચિત્રો દોરવા કે પછી દિપાવલીની ઓઈલ પેઈન્ટ કલર રંગોળી હોય, પુનઃ મનગમતી ચિત્રકામ પ્રવૃતિ શરૂ થતાં જ મન પ્રફુલ્લિત રહેવા લાગ્યું અને બિમારીનાં નકારાત્મક વિચારો પણ શમી ગયા, ત્યારે બિમારી ગમે તેટલી ગંભીર કેમ ન હોય ? કુદરતની કૃપા અને મનગમતી પ્રવૃતિનો સમન્વય હોય તો કેન્સર જેવી ગંભીર બીમારીની અસર પણ વર્તાતી નથી !! ત્યારે વાંકાનેરનાં ચિત્રકાર કિશોરચંદ્ર કે. ભટ્ટી એ હજારો કેન્સરગ્રસ્ત દર્દીઓને હકારાત્મક સંદેશ પૂરો પાડ્યો…