જરૂર પડયે ટોલ ફ્રી નં. 1800 233 155 333 અથવા 19122 પર ફોન કરવો
વાંકાનેર: પીજીવીસીએલ દ્વારા અપીલ કરાઈ છે. જેમાં જણાવાયુ છે કે ખુલ્લા વીજળીના તારને અડકશો નહિ, તાર ઉપર ચડેલ પતંગ લેવા લંગર નાખશો નહિ આ રીતે લંગર નાખીને ખેંચવાથી વીજળીના તાર ભેગા થઈ મોટા ભડાકાથી તાર તૂટી જવાની ભીતી રહે છે. વીજ વપરાશના સાધનો, ઉપકરણો બળી જવાની સંભાવના રહેલી છે. ઘરની આજુ-બાજુ કે કોઇપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડના સળીયા વડે તેને કાઢવાની કે ત્યાં ચડવાનો પ્રયાસ કરશો નહિ.
ધાતુના તાર બાંધીને પતંગ ન ઉડાડવા કારણ કે ધાતુના તાર વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જવાની સંભાવના રહે છે. મેગ્નેટિક ટેપ, સિન્થેટીક દોરી કે વીજ વાહક માંજા તથા અન્ય વાયરોનો ઉપયોગ ન કરવો, કેમકે તેનાથી પાવર લાઈન કપાઈ જવાનો ભય સેવાય છે જેને લીધે અંધારપટ છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શક્યતા રહે છે.
વીજળીના તૂટેલા તારથી દૂર રહો. નજીકના વાયર પર વીજ કરંટ ઉતરતો હોય તો તે બાબતની ફરિયાદ પીજીવીસીએલ ની સલંગ્ન પેટા વિભાગીય કચેરી ઉપર રૂબરૂમાં અથવા ટેલિફોનિક દ્વારા તુરંત જ આપો. આ ઉપરાંત વીજ અંગેની કોઇપણ ફરિયાદ માટે ટોલ ફ્રી નં. 1800 233 155 333 અથવા 19122 પર ફોન કરવો.