કથા દરમિયાન ધાર્મીક પ્રસંગો ભવ્યતાથી ઉજવાશે
વાંકાનેર: અહીંના સદીઓ પુરાણા નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ગઢની રાંગ ખાતે ઉભા કરાયેલા હરીહરધામ ખાતે આગામી તા.22/12/2025 ને સોમવારથી તા.28 રવિવાર સુધી શ્રી નિલકંઠ મહાદેવ મંદિર સમીતી દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે.

આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમ્યાન આવતા વિવિધ પ્રસંગો જેવા કે કપીલ જન્મ, શ્રી નૃસિંહ પ્રાગટય, શ્રીરામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, શ્રી ગોવર્ધન પુજા, શ્રી કૃષ્ણ ભગવાનની રાસલીલા, શ્રી રૂક્ષ્મણી વિવાહ સહીત પ્રસંગો ધામધુમથી ઉજવાશે તેમ માહિતી આપતા હરેશભાઈ ત્રિવેદી (બબુભાઈ)એ જણાવ્યું હતું.

આ ભાગવત સપ્તાહના પ્રારંભે ભવ્ય એક પોથી યાત્રા તા.22ને સોમવારના રોજ બપોરે 2-30 કલાકે દરબારગઢ સ્થિત શ્રી ચત્રભુજરાયજી મંદિર ખાતેથી પ્રસ્થાન થઈ વાજતે ગાજતે શ્રી હરીહર ધામ નિલકંઠ મહાદેવ મંદિર ગઢની રાંગ કથા સ્થળે પહોંચશે. તો દરેક ભાવિક ભકતજનોને કથાનું રસપાન કરવા ઉપસ્થિત રહેવા નિલકંઠ મહાદેવ સેવા સમીતી દ્વારા જણાવાયું છે.

હરીહરધામ ખાતે આ શ્રીમદ ભાગવત કથા દરરોજ બપોરે 3-30થી 6-30 દરમ્યાન એક ટાઈમ રાખેલ છે. ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના વ્યાસાસને માધાપર નિવાસી ભાગવતાચાર્ય શાસ્ત્રી કિશોરભાઈ એ. પાઠક પોતાની આગવી શૈલીમાં સંગીતના સથવારે કથાનું રસપાન કરાવશે. તા.22થી શરૂ થનારી આ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ તા.28ના રોજ થશે અને તેજ દિવસે સાંજે કથા સ્થળે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
