ફાળદંગમાં ઉશ્કેરાયેલા શખ્સે ધમકી આપી મારામારી કરી
કુવાડવા નજીક વાદીપરામાં અગાઉના પ્રેમસંબંધ બાબતના મનદુ:ખે પિતા – પુત્ર પર તલવારથી હુમલો
રાજકોટ: તાલુકાના ફાળદંગ ગામે ગઢકા રોડ પર રહેતી દયાબેન કાનજીભાઈ ગોહેલ (ઉ.વ.28) નામની પરિણીતાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ફાળદંગ ગામે રહેતા અશ્વિન હકાભાઇ રાવળદેવ તેની માતા વનિતાબેન અને તેના પિતા હકાભાઇ રાવળદેવના નામ આપ્યા છે. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના સાતેક વાગ્યે આસપાસ તે ઘરે કામ કરતી હતી ત્યારે ઘરની ડેલી ખુલ્લી હોય દરમિયાન ગામમાં રહેતો અશ્વિન બાઇક લઈને ડેલી સામે ઊભો રહીને કહેતો હતો કે, ચાલ આપણે બંને અગાઉ ભાગી ગયા હતા એવી રીતે ફરી ભાગી જઈએ. જેથી પરીણિતાએ ના પાડતા અશ્વિને કહ્યું હતું કે, તું મારી સાથે નહીં આવે તો તારા પતિ કાનાને તથા તારા છોકરાઓને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી તે જતો રહ્યો હતો.
પરિણીતાએ આ બાબતે પતિને વાત કરી હતી બાદમાં રાત્રિના દસેક વાગ્યે આસપાસ પરિણીતા તથા તેના પતિ કાનાભાઈ સાસુ ભાનુબેન જેઠ ભરતભાઈ બધા અશ્વિન રાવળદેવના ઘરે તેના માતા-પિતાને ઠપકો આપવા માટે ગયા હતા. આ બાબતે વાતચીત ચાલતી હતી દરમિયાન અશ્વિન તેના ઘરમાંથી લોખંડનો પાઇપ લઈને આવ્યો હતો અને ફરિયાદીના પતિ કાનાભાઈને હાથમાં થતા પગના ભાગે પાઇપના ઘા ફટકારી દીધા હતા. તેમજ પરિણીતાના સાસુ ભાનુબેનને હકાભાઇએ લોખંડનો પાઈપ ફટકાર્યો હતો તથા લાકડાના ધોકા વડે મારમાર્યો હતો. બાદમાં પરિણીતા તેના પતિ અને સાસુ સહિતનાઓ ઘરે આવી ગયા હતા.
દરમિયાન અશ્વિને કહ્યું હતું કે, આજે તો તમે બચી ગયા છો હવે પછી અમારા ઘરે આવશો તો તમને બધાને જાનથી મારી નાખીશ આ હુમલામાં પરિણીતાના પતિ કાનાભાઈ અને તેના સાસુ ભાનુબેનને ઈજા પહોંચી હોય બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ અંગે પરિણીતાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી.
કુવાડવા નજીક વાદીપરામાં અગાઉના પ્રેમસંબંધ બાબતના મનદુ:ખે પિતા – પુત્ર પર તલવારથી હુમલો
રાજકોટ તાલુકાના કુવાડવા નજીક વાદીપરામાં રહેતા મુન્નાનાથ રાણીનાથ મેર (ઉ.વ.20) તથા તેના પિતા રાણીનાથ રૂપનાથ મેર (ઉ.વ.70) ગઈકાલે સાંજે 4.30 વાગ્યાં આસપાસ વાદીપરામાં હતા ત્યારે જાગુનાથ, દેવનાથ અને તેની સાથેના શખ્સોએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી તલવારના ઘા મારતા બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બનાવ અંગે મુન્નાનાથે જણાવ્યા મુજબ, તે બાઈક લઈને ઘરેથી નીકળ્યો ત્યારે દૈવનાથના ઘર પાસેથી પસાર થતાં આરોપીઓએ તેમને અટકાવ્યો હતો. અહીંથી શું કામ નીકળે છે? તેમ કહીં અપશબ્દો બોલી, ઝઘડો કર્યો અને ધમકાવી તલવારથી હુમલો કર્યો. આ અંગે જાણ થતાં તેના પિતા રાણીનાથ બચાવવા વચ્ચે પડ્યા હતા. તેને પણ તલવારનો ઘા ઝીંકી દેવાયો હતો. બંનેને પિતા પુત્ર લોહી લુહાણ થઈ ગયા હતા. સૂત્રોએ જણાવ્યું કે, મુન્નાનાથને એક યુવતી સાથે અગાઉ પ્રેમસંબંધ હતો. જેથી અગાઉ દેવનાથ સાથે મનદુ:ખ હતું. કદાચ એ વાતનો ખાસ રાખીને પણ હુમલો કરાયો હોવાનું અનુમાન છે. એરપોર્ટ પોલીસે નિવેદન લઈ આરોપીઓની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા…

