વેલનાથપરાના આધેડ મહિલાનું મોત થયું હતું
વાંકાનેર: નેશનલ હાઈવે રોડ ઉપર જીનપરા જકાતનાકા પાસેથી આધેડ પોતાના પત્નીને બાઈકમાં બેસાડીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઇકને પાછળથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેમના પત્ની -પરથી ટ્રકના વ્હીલ ફરી જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરેલ છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના વેલનાથપરા વિસ્તારમાં રહેતા ભરતભાઈ પ્રવીણભાઈ સારલા (ઉ.31)એ ટ્રક નંબર જીજે 11 વાય 9466 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે કે વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ ઉપરથી જીનપરા જકાતનાકા પાસે આવેલ હરસિદ્ધિ હોટલ સામેથી તેઓના પિતા બાઈક નંબર જીજે 3 ઇએમ 0668 લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેઓના બાઈક ઉપર ફરિયાદીના માતા શારદાબેન પ્રવીણભાઈ સારલા (ઉ.55) પણ તેઓની સાથે બેઠેલા હતા અને ટ્રક ચાલકે ફરિયાદીના પિતાના બાઇકને પાછળથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને ઇજાઓ થઈ હતી, ફરિયાદીની માતા શારદાબેનના માથાના ભાગે તથા શરીર ઉપરથી ટ્રકના તોતિંગ વ્હીલ ફરી ગયા હતા જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને 
અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને નાશી ગયેલ હતો જેથી હાલમાં મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરેલ છે…
