બિસ્માર રોડ રસ્તા, રાતીદેવડી બાયપાસનો તૂટેલો પુલ, સિંધાવદરનો ડેમેજ પુલ, પીજીવીસીએલના પ્રશ્નો, અપૂરતા ખાતર અને ફરજિયાત નેનો યુરિયાના પ્રશ્નો, રેઢિયાળ ઢોર અને જંગલી પશુઓ, ખનીજ ચોરી અને ઓવરલોડ ડમ્પરનો ત્રાસ, દારૂનું દૂષણ સહિતની સમસ્યાઓ બાબતે રજૂઆત
વાંકાનેર: શહેર અને તાલુકા કોંગ્રેસે વાંકાનેર પ્રાંત અધિકારીને શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બિસ્માર રોડ રસ્તા, રાતીદેવડી બાયપાસનો એક વર્ષથી વધુ સમયથી તૂટેલો પુલ, સિંધાવદરનો ડેમેજ પુલ, પીજીવીસીએલના પ્રશ્નો, અપૂરતા ખાતર અને ફરજિયાત નેનો યુરિયાના પ્રશ્નો, રેઢિયાળ ઢોર અને જંગલી પશુઓ, ખનીજ ચોરી અને ઓવરલોડ ડમ્પરનો ત્રાસ, દારૂનું દૂષણ સહિતની સમસ્યાઓ બાબતે રજૂઆત કરવામાં આવી. વિશેષમાં જડેશ્વર રોડ અને અમરસર રોડના નબળા કામ બાબતે પણ મૌખિક ચર્ચા કરવામાં આવી.

ઉપરાંત વાંકાનેર શહેરના બિસ્માર રોડ રસ્તા, ખાસ કરીને દાણાપીઠ ચોક થી કોલેજ અને હાઇવે થી દાણાપીઠ ચોકના ભંગાર રોડ, મિલપ્લોટ વીશીપરા રોડ, નગરપાલિકા દ્વારા ફિલ્ટર વગરનું દૂષિત પાણી, ઉભરાતી ભૂગર્ભ ગટરો અને તેના તૂટી ગયેલા ઢાંકણા, તથા એશિયાના સોસાયટી અને ગુલાબનગર સહિતના ઓજી વિસ્તારોમાં પીવાનું પાણી આપવા બાબતે રજૂઆત કરવામાં આવી.

વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરીને ઉપરોક્ત સમસ્યાઓનો ઉકેલ તાત્કાલિક લાવવાની માંગણી કરવામાં આવી તથા આ બાબતે આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે…