પ્રોસેસિંગમાં પ્રમુખ તરીકે ઈરફાનભાઈ ગઢવારા (તિથવા) અને ઉપપ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ શેરસીયા (લાલપર)ની વરણી કરવામાં આવી
વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ.ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ચૂંટાયેલ સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં બેંકના પ્રતિનિધિની ઠરાવ બાબતે મામલો હાઈકોર્ટમાં હોવાના કારણે પરિણામ અનામત રાખવામાં આવ્યું છે, જેથી મતદાન પેટીને સીલ મારી હાઇકોર્ટના ચુકાદા બાદ મતગણતરી કરવાનો નિર્ણય લેવાયો છે.ચૂંટણીમાં કુલ 12 બેઠકોમાંથી 6 બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે, જ્યારે બાકી 6 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા, જેના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે સરકારી બેંકના પ્રતિનિધિનો મત મહત્વનો બની ગયો હતો, જેમાં બેંક પ્રતિનિધિના જુના અને નવા ઠરાવ બાબતે મામલો હાઈકોર્ટમાં પહોંચતા યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના પરિણામને અનામત રાખવામાં નિર્ણય લેવાયો છે.




પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી પ્રમુખ તરીકે હરદેવસિંહ દિલાવરસિંહ જાડેજા અને ઉપપ્રમુખ તરીકે બળદેવસિંહ નરેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી કરેલ, જ્યારે સામાપક્ષે ભાજપ તરફથી પ્રમુખ તરીકે જયેશભાઇ છગનભાઇ વસીયાણી અને ઉપપ્રમુખ તરીકે ઈસ્માઈલભાઈ મામદ પરાસરાએ ઉમેદવારી કરી હતી. હાઈકોર્ટ દ્વારા બેંક પ્રતિનિધિના મત બાબતે શું નિર્ણય લેવાય છે, જેના આધારે વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે, હાલ આ કેસ બાબતે હાઈકોર્ટમાં 18/04 ના રોજ મુદત આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વાંકાનેર તાલુકા કો. ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. ની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારોનો 10 વિરૂદ્ધ 1 મતથી વિજય થયો હતો. જેમાં પ્રમુખ તરીકે ઈરફાનભાઈ મામદભાઈ ગઢવારા(તિથવા) અને ઉપપ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ અલાવદી શેરસીયા (લાલપર)ની વરણી કરવામાં આવી છે.યોજાયેલી આ ચુંટણીમાં કુલ 12 ચુંટાયેલા પ્રતિનિધિઓ અને એક બેંક પ્રતિનિધિ એમ 13 સભ્યોને મતદાન કરવાનો અધિકાર હોય જેમાં બે સભ્યો ગેરહાજર રહેતા હાજર 11 સભ્યો દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી, જેમાં 10 વિરૂદ્ધ 1 મતથી કોંગ્રેસ પ્રેરિત પેનલના બંને ઉમેદવારોનો વિજય થયો હતો.