વાંકાનેરમા કટલેરીના ધંધાર્થી વ્યાજના વિષચક્રમા ફસાયા





વાંકાનેર : વાંકાનેર શહેરમા કટલેરીનો ધંધો કરતા વેપારીએ કોરોના મહામારીમાં રૂ.5 લાખ વ્યાજે લઈ બાદમાં 16.20 લાખ ચુકવી દેવા છતાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી ગામમાં રહેવા નહિ દઉં તેવી ધમકી આપતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.
જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના બાગે સંજર સોસાયટીમાં રહેતા કટલેરીના વેપારી અશફાક ઉર્ફે બબુ આરીફભાઈ દોશાણીએ કોરોના મહામારી સમયે વાંકાનેર ઓઝા શેરીમાં રહેતા જયેશભાઇ ઓઝા પાસેથી 5 લાખ રૂપિયા દરરોજના ત્રણ હજાર રૂપિયા લેખે વ્યાજે લીધા હતા.
જે બાદ કુલ મળીને 16.20 લાખ રૂપિયા ચૂકવી દેવા છતાં વ્યાજખોર જયેશ ઓઝા દ્વારા પઠાણી ઉઘરાણી ચાલુ રાખી નોટરી લખાણ અને કોરા ચેક મેળવી લઈ રૂપિયાની ઉઘરાણી ચાલું રાખી જો રૂપિયા નહિ આપે તો વાંકાનેર ગામમા કેમ રહે છે અને કેમ વેપાર કરે છે તેવી ધમકી આપતા અંતે આ મામલે વાંકાનેર શહેર પોલીસ મથકમાં આઇપીસી કલમ 384 અને ગુજરાત નાણાં ધીરધાર બાબતે ગુન્હો નોંધવામાં આવ્યો છે.