નવઘણભાઈ મેઘાણી દ્વારા ઠીકરયાળા ગામના તળાવ જોખમી હોવાની રજૂઆતો કરવામાં આવી
મોરબી : મોરબી જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં સિંચાઈ કૌભાંડ મુદ્દે ગરમાગરમી જોવા મળી હતી. જો કે આક્ષેપ અને બચાવ કામગીરી વચ્ચે સિંચાઇના એક પણ કામની વાત થઈ શકી ન હતી. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શીહોરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતમાં સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના હોદેદારો અને ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા તેમજ ડીડીઓ ડી.ડી. જાડેજા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા ત્યારે મોરબી જીલ્લામાં વર્ષો પહેલા નાની સિંચાઇનું કૌભાડ સામે આવ્યું હતું, ત્યારથી નાની સિંચાઈના કામો બંધ કરી દેવામાં આવેલ છે. જેથી કરીને કોંગ્રેસના સભ્ય નવઘણભાઈ મેઘાણી દ્વારા વાંકાનેર તાલુકાનાં ઠીકરયાળા ગામે આવેલ તળાવ છેલ્લા ઘણા સમયથી જોખમી હોવાની રજૂઆતો કરવામાં આવી રહી છે તો પણ તેને રીપેર કરવામાં આવ્યું નથી; જેથી તેનો પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. ત્યારે સરકારમાં દરખાસ્ત મોકલવી છે, જેવો સરકારી જવાબ અધિકારી આપ્યો હતો જો કે, આગામી ચોમાસામાં કોઈ દુર્ઘટના થાય તો તેના માટે જવાબદાર કોણ તેવો સવાલ કોંગ્રેસનાં સભ્યએ ઉઠાવ્યો હતો; જેથી ડીડીઓએ વહેલી તકે સ્થળ તપાસ કરશે તેની સામાન્ય સભાના ખાતરી આપી હતી. સભામાં નાની સિંચાઈ કૌભાંડ ધૂણતા બન્ને પક્ષના સભ્યોએ ગરમાગરમી પકડી હતી. સિંચાઇના 334 કામો હજી બાકી છે તેને ચાલુ કરવા માટે આ સભામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આ સભામાં 24માંથી 20 સભ્ય હાજર રહ્યા હતા. સભાની ખાસ વાત એ હતી કે વિપક્ષના માત્ર 2 જ સભ્યોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં એક સભ્યએ 6 પ્રશ્ન તથા બીજા મહિલા સભ્યએ એક પ્રશ્ન ઉઠાવ્યો હતો. બાકીના બીજા સભ્યોએ જાણે સબ સલામત હોવાની ગવાહી પૂરતા હોય તેમ એકેય પ્રશ્નો ઉઠાવ્યા ન હતા. બીજી તરફ જિલ્લામાં 761માંથી 147 આંગણવાડી ભાડાની છે. તે અંગે ડીડીઓએ જણાવ્યું કે આમાં જમીનની પ્રક્રિયા ચાલી રહી છે.

આ સભામાં કુપોષિત બાળકોનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં જિલ્લામાં 371 કુપોષિત બાળકો અને 129 અતિ કુપોષિત બાળકો હોવાનું જાહેર કરાયુ હતું. જવાબમાં ડીડીઓએ કહ્યું કે પ્રયત્નો ચાલુ છે. એક મહિનામાં રિઝલ્ટ દેખાશે. જિલ્લાની અનેક ગ્રામ પંચાયતોમાં ટોયલેટ ન હોય, 17 ગ્રામ પંચાયતમાં રૂ.12 લાખના ખર્ચે ટોયલેટ બનાવવાના કામને મંજૂરી અપાઈ હતી.ઉપરાંત એક સભ્યએ જિલ્લા પંચાયતના તમામ સભ્યને પરિવાર સાથે પ્રવાસ કરવાનું આયોજન કરવાનું સૂચન કર્યું હતું. જો કે આવી કોઈ જોગવાઈ ન હોવાનું જણાવીને અધિકારીઓએ તે મુદ્દો પડતો મુક્યો હતો.

સભામાં શહીદ પરિવારને સ્વંભંડોળમાંથી રૂ. 1 લાખની સહાય આપવાની જોગાવાઈને મંજૂરી અપાઈ હતી. સદસ્યોને બેઠકની કાર્યવાહીની નોંધ ન મળતી હોવાનો બળાપો ઠાલવ્યો હતો. સામે ડીડીઓએ સ્પષ્ટ ચેતવણી આપી કાર્યવાહીની નોંધ મળે તેવા આદેશો આપ્યા હતા. સભામાં 21 એજન્ડા મંજુર કરવામાં આવ્યા હતા.