અમરેલી, કચ્છ, બનાસકાંઠા વિસ્તારમાં ધરતી ધ્રુજવાથી લોકોમાં ગભરાટ
આજે 21 ડિસેમ્બરે અમરેલીના સાવરકુંડલા શહેરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સાવરકુંડલાના મિતિયાળા ગામે ધરતી કંપના સતત આંચકા અનુભાઈ રહ્યા છે, જેને ધ્યાને લઈ ગાંધીનગરથી એક ટીમ મિતિયાળા ગામે જવા રવાના થઈ ગઈ છે.
ઉલ્લેખનિય છે કે, અમરેલી પંથકમાં 17 ડિસેમ્બરે ભૂકંપના ઉપરાઉપરી ચાર હળવા આંચકા નોંધાયાનું સિસ્મોલોજીકલ સેન્ટરના સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાથમિક રીતે આ આંચકા ઉદભવવાનું કારણ ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર મનાય છે. છેલ્લા એક માસથી આવા આંચકા અનુભવાતા હોય લોકોમાં ગભરાટનો માહૌલ છે અને લોકોએ વિડીયો વાયરલ કરીને ભૂકંપના ભયને દૂર કરવા તેની તપાસ કરીને લોકોને યોગ્ય માહિતી જારી કરાય તેવી માંગ કરાઈ છે. 10 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં 20 સેકન્ડ સુધી ધરતી ધૂજી ઉઠી હતી. વલસાડમાં 1 ડિસેમ્બરે રિએક્ટર સ્કેલ પર 3.3 ની તીવ્રતાના ઉપરાઉપરી બે ભૂકંપો આવ્યા બાદ 5મી ડિસેમ્બરે કચ્છના ખાવડાથી 28 કિ.મી. ઉત્તરે 3.2નો ધરતીકંપ રાજ્યના સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયો હતો. કચ્છમાં મોટી ફોલ્ટલાઈન છે અને ત્યાં અવારનવાર ભૂકંપ આવતા હોય છે પરંતુ 5મીએ આવેલો ભૂકંપ જમીનથી માત્ર 5.9 કિ.મી. ઉંડાઈએ ઉદ્ભવ્યો હતો.