વાંકાનેરની શિક્ષણ શાખાના ભ્રષ્ટાચારીઓ FRI નોંધાયા બાદથી ગુમ
વાંકાનેર શિક્ષણ શાખાના ભ્રષ્ટાચારીઓ આરોપીઓને હજુ સુધી કેમ ફરજ મોકૂફ નથી કરાયા?
વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખાના ચાલુ વર્ષના ઓડિટ દરમ્યાન બેનામી નાણાંકીય વ્યવહારોના ઓડિટ પેરા નીકળતા વર્ષ – ૨૦૧૭ થી ૨૦૨૦ સુધી લાખો રૂપિયાનો થયેલ ભ્રષ્ટાચાર સંદર્ભે છેલ્લા ચારેક માસથી અધિકારીઓએ તપાસ કરી હતી, તમામ શાળાઓના નાણાંકીય રેકર્ડ, આરોપીઓ તેમજ એમના સગાવ્હાલા, કે જેમના ખાતામાં સરકારી નાણાં જમા કરેલ હતા; એમના તમામ બેંકોના, તમામ ખાતાઓના સ્ટેટમેન્ટ, તાલુકા પંચાયતના બિલો વગેરે તપાસ કરી લીધા બાદ જેમના ખાતામાં સરકારી નાણાં અનધિકૃત રીતે તેર જેટલા લોકોના બેંક એકાઉન્ટમાં જમા કરેલ હતા, એમને તથા એ વખતના તાલુકાના વહીવટી અધિકારીઓ એમ સોળ જેટલા લોકોના નવમી મે ના રોજ નિવેદનો લીધા બાદ અને અખબારમાં આવેલા અહેવાલો બાદ વર્ષ-૨૦૧૭ થી ૨૦૨૦ સુધી તાલુકા પંચાયતમાં વહીવટી કામગીરી કરતા માત્ર ત્રણ શિક્ષકો અબ્દુલ શેરસિયા, અરવિંદ પરમાર, હિમાંશુ પટેલને ભ્રષ્ટાચાર બાબતે જવાબદાર ઠેરવી ગત ત્રીજી જૂનના રોજ ફોજદારી રાહે ગુનો નોંધાયા બાદથી ત્રણ આરોપીઓ ગુમ થઈ ગયેલ છે.
અહીં સવાલ એ છે કે ત્રણેય સરકારી શાળાના શિક્ષકો હોય, વેકેશન બાદ શાળાઓ શરૂ થઈ ગઈ એને પણ બે માસ જેટલો સમય વીતી ગયો છે, એમની રજાઓનું શું? રજા રિપોર્ટ મુક્યા કે કેમ?
રજા રિપોર્ટ મુક્યા તો કોણ આપી ગયું? રજા મંજૂર કરી કે નહીં? વગેરે યક્ષ પ્રશ્નો છે, સરકારી નોકરિયાત આરોપીઓને પોલીસ પકડી શકતી નથી કે પકડવામાં ઢીલી નીતિ રાખી રહી છે ? આવા અનેક સવાલો થઈ રહ્યા છે. બાળકોના રૂપિયા ખાઈ જનાર પર અધિકારી- પદાધિકારીઓના આશીર્વાદ વરસી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. નિયમ મુજબ સરકારી કર્મચારી વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાય એટલે તાત્કાલિક એમને ફરજ મોકૂફ કરવા જોઈએ, પણ હજુ સુધી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ત્રણેય આરોપીઓને કેમ ફરજ મોકૂફ નથી કરાયા? એ યક્ષ પ્રશ્ન છે. FIR થઈ એને બે માસ જેટલો સમય વીતી ગયો છતાં ધરપકડ પણ નથી થઈ! આમ ભ્રષ્ટાચારીઓનો હજુ સુધી વાળ પણ વાંકો નથી થયો!!