વગદાર આરોપીઓને બચાવવા અઘિકારીઓના હવાતિયા
ગુજરાત સરકારની મીઠી નજર નીચે ભાજપના આગેવાનો જ નકલી ટોલનાકુ ચલાવતા હોવાનો આક્ષેપ
મોરબી : વાંકાનેરના વઘાસિયામાં અસલી સાથે નકલી ટોલ પકડાયા પછી તપાસના નામે કોઈ જ પ્રગતિ ન થઈ હોવાની વ્યાપક ચર્ચા વચ્ચે મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રામજીભાઈ રબારીએ ધગધગતા આક્ષેપો કરી નકલી ટોલનાકા કાંડના વગદાર આરોપીઓને બચાવવા અઘિકારીઓ હવાતિયા મારી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.
મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રામજીભાઈ રબારીએ પોતાના સ્ફોટક જાહેર નિવેદનમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં નકલી નકલીનો ખોફ છે, ત્યારે સરકારનો કોઇ ખોફ ન હોય તેવી સ્થિતિ હાલ ગુજરાતમાં ચાલી રહી છે. તાજેતરમાં મોરબી જિલ્લાના વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ગામ પાસે અસલી ટોલનાકાની સમાંતર ત્રણ ત્રણ નકલી ટોલ ઉઘરાવવાનુ છેલા બે વરસથી ચાલી રહેલ હતુ અને આ ટોલ નાકાના સંચાલક તરીકે આરોપીઓમા ભાજપના આગેવાનના નામ ખુલ્યા છે ત્યારે આ આરોપીઓનો બચાવ કરવા એક અઘિકારી જે પહેલા મોરબી પછી વાંકાનેર અને હાલ મોરબી ફરજ બજાવી રહેલા છે તે આ આરોપી ને બચાવવા તપાસ સમિતિના નામે નાટક કરી તમામ આરોપીને બચવા હવાતિયાં મારી રહ્યા હોવાની મોરબી જિલ્લાની પ્રજામાં ચર્ચા થઈ રહેલ છે.
વધુમાં તેઓ ઉમેરે છે કે, ખરેખર જો પ્રજામાં થતી ચર્ચા મુજબ વાત સત્ય હોય તો આ અઘિકારી કોણ તે અંગે તપાસ કરી જવાબદાર અઘિકારીની આ ટોલ નાકામાં મિલી ભગત માની તેમની સામે પણ તપાસ કરવી જોઇએ. વધુમાં બનાવટી ટોલનાકા બાબતે મોરબી વાંકાનેર ધારાસભ્ય તેમજ મોરબી કચ્છ અને રાજકોટ સીટના સાંસદ સભ્યો આ બાબત મૌન બેઠા છે આવડા મોટા કૌભાંડમાં પ્રજાના લોક પ્રતિનિધિઓ શા માટે બોલતા નથી તે પણ એક મોટો સવાલ છે.