
ટોલનાકા પર વાહનચાલકોની સુવિધાઓ માટે વાહનો પર ફાસ્ટટેગ ચોંટાડવાની સવલત સરકારે આપી છે. ઘણીવાર એમ બને કે તમારા વાહન પરનો ફાસ્ટટેગ ટોલપ્લાઝા પર ટેકનિકલ કારણોસર કામ ન કરે એટલે કે સ્કેન ન થાય. આવા જ એક કિસ્સામાં ટોલપ્લાઝા પર ફાસ્ટેટેગ કામ ન કરતા વાહનચાલક પાસેથી બમણો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો, પરંતુ કન્ઝ્યુમર ફોરમે આને ગેરવાજબી ગણાવ્યો હતો અને નેશનલ હાઈ વે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)ને રૂ.145 પાછા કરવાનો આદેશ આપ્યો હતો.

સુરતના હઝીરા એનએચ ટોલ પ્લાઝા ખાતે એક વડોદરાના રહેવાસી વાહનચાલક પાસેથી ટોલપેટે રૂ. 145ને બદલે રૂ. 290 વસૂલવામાં આવ્યા હતા. આ વાહનચાલકે આ મામલે વડોદરા ડિસ્ટ્રીક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી. વાહનચાલક સોનગઢથી સુરત તરફ આવી રહ્યા હતા ત્યારે ટોલપ્લાઝા ખાતે ફાસ્ટટેગ સ્કેન થઈ શક્યો ન હતો. ટોલપ્લાઝા પર હાજર કર્મચારીએ કાં તો ફાસ્ટટેગ કાર્યરત નથી અથવા તેમાં બેલેન્સ નથી, તેમ જણાવ્યું હતુ. વાહનચાલકે તેને સાબિત કરી આપ્યું કે બેલેન્સ પૂરતુ છે, પરંતુ કર્મચારી માન્યો નહીં અને તેમને રૂ. 145ની જગ્યાએ બમણા રૂ. 290 ભરવા પડ્યા હતા. આથી વાહનચાલકે ફરિયાદ નોંધાવી હતી કે ફાસ્ટ ટેગ સરકાર સંચાલિત છે અને કોઈ ટેકનિકલ કારણને લીધે તે સમયે સ્કેન થયો નહીં હોય. તેમણે એમ પણ કહ્યું કે પ્લાઝા ખાતે મને ઝીરો પેમેન્ટ રિસિપ્ટ આપી જવા દેવો જોઈતો હતો. એનએચએઆઈએ સ્વીકાર્યું હતું કે ફાસ્ટટેગ કાર્યરત ન હતું, પરંતુ તે જે વ્યક્તિના બેંકની જવાબદારી છે, તેમ કહી તેમણે બેંક પર જવાબદારી નાખી હતી.

બન્નેએ પોતપોતાની દલીલ કરી હતી. ફોરમે જણાવ્યું હતું કે વાહનચાલકને ટોલપ્લાઝા પર ઊભેલા કર્મચારીના ભરોસે છોડી શકાય નહીં. ફાસ્ટટેગ કાર્યરત ન હોય તો તેનો વિકલ્પ કે ઉકેલ એનએચએઆઈએ શોધવો જોઈએ, તેવી તાકીદ પણ ફોરમે કરી હતી. આ સાથે ફોરમે નોંધ્યું હતું કે એવો કોઈ પુરાવો આપાવમાં આવ્યો નથી જે સાબિત કરે કે ફાસ્ટ ટેગ કાર્યરત ન હતું. આથી ફોરમે નવ ટકા વ્યાજ સાથે 145 રૂપિયા પરત કરવાનો અને રૂ. 500 અરજીના ખર્ચપેટે આપવાનો આદેશ આપ્યો હતો.
ગ્રાહક તરીકે આપણા ઘણા હક છે, પરંતુ આપણે જતું કરીને ઘણુ જતું કરી દઈએ છીએ, જ્યારે માત્ર 145 રૂપિયા માટે 2021થી લડત આપનારા આ વાહનચાલક જેવા ઘણા લોકો ખરા વ્હીસલ બ્લોઅર છે અને ગ્રાહકોના હીતના રક્ષણને અંકબંધ રાખવાની કોશિશ કરે છે.