દર ગુરૂવારે મોરબી જિલ્લાના ગ્રાહકો ના કેસનો નિકાલ થશે: રાજકોટ જવું નહીં પડે
મોરબી જિલ્લો બન્યો બાદ છેલ્લા ઘણાં સમયથી ગ્રાહક કોર્ટની માંગ ઉઠી હતી. આ મામલે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે મોરબી તાલુકા સેવા સદનમાં ત્રીજા માળે ગ્રાહક સુરક્ષા કોર્ટનો પ્રારંભ થયો છે.

આ અંગે રાજ્ય ગૃહ સુરક્ષા તકરાર નિવારણ કેન્દ્રના પ્રમુખ વી. પટેલએ મીડિયાને જણાવ્યુ હતું કે, ગ્રાહક કોર્ટમાં દિન પ્રતિદિન પ્રશ્નો વધતા જાય છે, સામાન્ય રીતે મોટી મોટી કંપનીઓની સર્વિસમાં જે પ્રકારની ખામી ઉત્પન્ન થાય છે તેના કેસ જોવા મળે છે; અત્યાર સુધી મોરબીમાં જે કોઈ પણ ગ્રાહક સુરક્ષાના કેસ હોય તેનું નિરાકરણ રાજકોટમાં આવેલી ગ્રાહક સુરક્ષાની કોર્ટમાં થતું હતું. હાલ મોરબી જિલ્લો બની ગયા બાદ મોરબીમાં જ ગ્રાહક સુરક્ષા કોર્ટનું નિર્માણ થયું છે તેનાથી નાગરિકોને ઘર આંગણે ન્યાય મળી જશે, સરળતાથી ન્યાય મળી જશે, રાજકોટ સુધી ધક્કો ખાવો નહીં પડે. નાગરિકોના હિતમાં ગુજરાત સરકાર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે.

પહેલા રાજકોટ ખાતે ગ્રાહક સુરક્ષા કોડ હતી એટલે નાના મોટા કેસમાં પણ ગ્રાહકોએ રાજકોટ સુધી લંબાવવું પડતું હતું, બીજી તરફ રાજકોટ સુધી જવું ત્યાં સુધીની દોડાદોડી અને વકીલો પણ ફાઇલિંગ કરવાથી લઈને કેસની વિગતો એકઠી કરીને રાજકોટ સુધી જવાની જે તકલીફ ઉત્પન્ન થતી હતી તેનો હવે અંત આવ્યો છે. સ્ટેટ કમિશનને હવે આ સુવિધા ઘર આંગણે કરી છે, તેનો ખૂબ જ લાભ નાગરિકોને અને વકીલોને બંનેને મળશે. નોંધનીય છે કે દર ગુરુવારે મોરબી કોર્ટમાં ગ્રાહક સુરક્ષાનું સીટિંગ છે એટલે દર ગુરૂવારે ચાલશે અને મોરબીના જ ગ્રાહકો ના કેસનો નિકાલ થશે.

કન્ઝ્યુમર કોર્ટ એક્ટ 1986 નો જુનો કાયદો હતો. ત્યારબાદ નવો કાયદો આવ્યો તેની જોગવાઈ અનુસાર દરેક જિલ્લામાં એક ગ્રાહક સુરક્ષા કોર્ટ હોવી અનિવાર્ય છે. મોરબી જિલ્લો અલગ થયો એ બાદ 2014માં સરકારે પરિપત્ર બહાર પાડીને મોરબીને ગ્રાહક સુરક્ષા કોર્ટ આપવાની કવાયત હાથ ધરી હતી, પરંતુ જગ્યાના અભાવે અને કેસ ઓછા હોવાના કારણે આજ સુધી મોરબીના કેસ રાજકોટમાં ટ્રાન્સફર થતા હતા. હવે જગ્યાની ઉપલબ્ધિ થઈ છે કલેકટરે ખૂબ જ સારો સહકાર આપ્યો છે અને જગ્યા મળી છે,

અહીં ખૂબ જ નાના નાના કેસ આવે છે ઉદાહરણ સ્વરૂપે કોઈનો મોબાઇલ બગડી ગયો હોય કોઈનો ફ્રીજ બગડી ગયું હોય આવા કેસ વધુ હોય છે અને આવા કેસ માટે પણ મોરબીના નાગરિકોએ રાજકોટ સુધી જવું પડતું હતું પરંતુ હવે કોર્ટ બની ગઈ છે એટલે ઘર આંગણે જ તેનું નિરાકરણ થઈ જશે. આ ઉપરાંત હવે મોરબીની પોતાની કોર્ટ છે એટલે જિલ્લામાં ગ્રાહકોને લગતા કેસ પણ વધી શકે છે અને હવે મોરબીના વકીલો પણ ગ્રાહક સુરક્ષાના કેસમાં ધ્યાન આપશે અને આ પ્રકારના કેસ દાખલ કરશે.

મોરબી બાર પ્રમુખ વિપુલ જેઠલોજાએ મીડિયાને જણાવ્યુ હતું કે, મોરબી માટે આજે ખૂબ જ શુભ પ્રસંગ છે; કારણ કે ઘણા સમયથી મોરબીના ગ્રાહકોને તેમને પડતી મુશ્કેલીઓના કેસ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં તો દાખલ કરવા પડતા હતા, ઓછું હોય તેમ રાજકોટ સુધી જવું પડતું હતું, પરંતુ હવે મોરબીમાં ઘર આંગણે જ ગ્રાહક સુરક્ષા કોર્ટ બની ગઈ છે; એટલે હવે નાગરિકોની સમસ્યાઓનું નિરાકરણ મોરબીમાં જ થઈ જશે.