રવાપર-ધુનડા-સજ્જનપર રોડ 6 કિલોમીટર ફોરલેન તથા 15 કિલોમીટર 10 મીટર પહોળો રોડ થશે
મોરબી : સાંસદ મોહનભાઈ કુંડારીયા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની મક્કમ રજૂઆત બાદ કેન્દ્ર સરકાર દ્વારા મોરબી તાલુકાના વિવિધ રોડ માટે 102.5 કરોડની ગ્રાંટ મંજૂર કરી છે.
સાંસદ અને ધારાસભ્યની રજૂઆત બાદ કેન્દ્ર સરકારે મોરબી તાલુકાના રવાપર-ધુનડા-સજ્જનપરના 21 કિલોમીટર રોડ તથા નેશનલ હાઈવે લખધીરપુર-કાલીકાનગર-નીચીમાંડલ (મોરબી હળવદ હાઈવે) 19 કિલોમીટર રોડ CIRF ગ્રાન્ટમાં મંજૂર કરતાં મોરબીને કેન્દ્ર સરકાર દ્વારા 102.5 કરોડ ફાળવવામાં આવ્યા છે. મોરબી શહેર અને ટંકારા અને વાંકાનેર સાથે જોડતો રવાપર-ધુનડા-સજ્જનપર રોડ 6 કિલોમીટર ફોરલેન તથા 15 કિલોમીટર 10 મીટર પહોળો રોડ નવીનીકરણ માટે ગ્રાન્ટ મંજૂર થતાં રવાપર વિસ્તારથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે. નેશનલ હાઈવેથી લખધીરપુર-કાલીકાનગર-નીચીમાંડલ (મોરબી હળવદ હાઈવે) રોડ 19 કિલોમીટર 10 મીટર પહોળો રોડ માટે ગ્રાન્ટ મંજૂર થતાં લખધીરપુરના ઉદ્યોગકારોની હેવી ટ્રકોથી થતી ટ્રાફિક સમસ્યા દૂર થશે. સાથે મોરબી હળવદ હાઈવેને સીધું જોડાણ થવાથી અંતર ઘટશે જેથી ઈંધણની બચત થશે. આમ સાંસદ મોહનભાઈ કુંડારીયાએ રોડ-ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિનભાઈ ગડકરીને કરેલી રજૂઆત સફળ રહી છે તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા માર્ગ મકાન (પંચાયત) અને માર્ગ મકાન (સ્ટેટ) વિભાગને DPR બનાવવા તથા ટેન્ડર પ્રક્રિયા સત્વરે પૂરી કરવા સૂચના આપવામાં આવી હોવાનું મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયાની યાદીમાં જણાવાયું છે.