બિનખેતીમાં પણ હેરાનગતિ બંધ થશે
જમીનના વેચાણની નોંધ દાખલ અને પ્રમાણિત કરવી સરળ બનશે
વાંકાનેર: રાજ્ય સરકારે ખેતીની જમીનના વેચાણની નોંધ દાખલ કરવા અને પ્રમાણિત કરવાની કાર્યવાહી વધુ સરળ બને તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેના થકી જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ મળશે. મહેસૂલ વિભાગે જાહેરાત કરી છે કે ખેડૂત ખરાઈ માટે હવે 6 એપ્રિલ 1995 થી જ મહેસુલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે. અત્યાર સુધી 1951થી રેકોર્ડની ખરાઈ કરવામાં આવતી હતી…
રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરવાની પ્રક્રિયા આકરી હતી. જેમાં ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52 થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો. પરંતુ, વિવિધ કારણોસર આ પુરાવાઓ મળતા ન હોવાથી વેચાણ નોંધો અને
બિનખેતી અરજીઓ નામંજૂર કરવામાં આવે તેવા કિસ્સા બનાતા હતા અને સરકારને વ્યાપક ફરિયાદો મળતા હવે આ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. હવે 6 એપ્રિલ 1995 થી જ મહેસુલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે…વધુમાં ખેડૂત ખરાઈ માટેની પ્રક્રિયામાં અનેક તકલીફો પડતી હતી. પૂર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ, તેમજ વડીલો અને હાલ ખરીદ કરનારાઓ દ્વારા જૂના માણસોના ખેડૂત હોવાના પુરાવાઓ મળતા ન હોય આ મામલે મુખ્યમંત્રીને મોટા પ્રમાણમાં રજૂઆતો કરાઈ હતી. જેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મહત્વનો નિર્ણય લઈ ખેડૂત ખાતેદાર માટે સરળતા કરી છે. જો કે, જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે વિવાદ કે તપાસ પડતર છે, તેવા કિસ્સાઓમાં આ જોગવાઈઓ લાગુ પડશે નહિ…
સાથે જ ખેતીની જમીનના હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂતે પોતે ખેડૂત ખાતેદાર હોવાનું સોગંદનામુ નિયત નમુનામાં રજૂ કરવાનું રહેશે. આ સાથે બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે જ્યારે બિનખેતી માટેની અરજી આવે, ત્યારે માત્ર ખેડૂત ખરાઈ માટે 6 એપ્રિલ 1995 પછીનો જ રેકર્ડ ધ્યાને લેવાશે. અને ટાઈટલ અંગે વિસંગતતા જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવાપાત્ર રહેશે તેનું સોગંદનામું પણ કરવુ પડશે…