કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનો ઇતિહાસ

વાંકાનેરથી પશ્ચિમ બાજુ દશ કિલોમીટર દૂર સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. તે મંદિરમાં જડેશ્વર દાદા સ્વયંભુ પ્રગટ થયા છે,  તેનો ઇતિહાસ જામ રાવળ સાથે સંકળાયેલો છે

    વાંકાનેરથી પશ્ચિમ બાજુ દશ કિલોમીટર દૂર રતન ટેકરી ઉપર પાંચસો વર્ષ કરતા પણ વધુ જુનું સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. તે મંદિરમાં જડેશ્વર દાદા સ્વયંભુ પ્રગટ થયા છે,  તેનો ઇતિહાસ જામ રાવળ સાથે સંકળાયેલો છે જે કંઇક આવો છે.

    જામ રાવળનો જન્મ કચ્છના કેરા ગામે રામનવમીના દિવસે થયો હતો. રાવળ જામે માતાજી આશાપુરા મંદિરમાં હરભમજી સાથે સુલેહ કર્યા બાદ તે સુલેહનો ભંગ કરી, હરભમજીને અતિથી તરીકે બોલાવીને ચિક્કાર દારૂ પીવડાવ્યા બાદ તેની રાવળ જામે હત્યા કરી હતી. જેથી આશાપુરા માતાજીએ તેમના સ્વપ્નામાં આવીને કહ્યુ હતુ કે, તમે પ્રતિજ્ઞાભ્રષ્ટ થયા છો; જેથી તમે કચ્છમાં સુખી થશો નહી. કચ્છ સહિતનો વિસ્તાર ખેંગારજીને સોંપીને તમે કાઠીયાવાડ તરફ જતા રહો.

    જેથી તેઓ ત્યાંથી માતાજીના આદેશ મુજબ કાઠીયાવાડમાં આવ્યા હતા અને રંગમતી તથા નાગમતીના કિનારે નવાનગર (જામનગર) વસાવીને ત્યાં રાજધાની બનાવી હતી.

    વાત જાણે એવી બની હતી કે જડેશ્વરથી થોડે દૂર‘અરણીટીંબા’ નામનુ ગામ છે. ત્યાં એક સોની રહેતો હતો. તેની ગાયો અને આખાગામની ગાયો ત્યાનો એક ભરવાડ જે એક મોટો માલધારી અને ગાયોના મોટા ટોળાવારો ગોવાળ હતો. ભરવાડે પોતાની ગાયો ચરાવવા એક છોકરો રાખ્યો હતો, તેનું નામ ભગો ભરવાડ હતું. તેના મા-બાપ ના નપણથી ગુજરી ગયા હોવાથી તે ભરવાડની ગાયો ચરાવી ગુજરાન ચલાવતો.

        ગાયોના આ ટોળામાં અરણીટીંબા ગામના જ પરસોતમ સોનીની ગાય પણ ચરવા જતી. તાજી વિયાયેલી આ ગાય દૂધ આપતી બંધ થઇ ગઇ.  સોની એ ભગા ભરવાડ ને આ માટેનું કારણ પૂછ્યું.

    ગાયુનું ધણ જયારે ગામ તરફ પાછું ફરતુ હતુ. ત્યારે આ ગાય ધણમાંથી છુટી પડીને રતન ટેકરી તરફ ચાલી નીક્ળતી. ભગો ભરવાડ તેની પાછળ ગયો. પત્થરના એક ઢગલા પાસે જઇ ગાય ઉભી રહી. તેના આંચળમાંથી દૂધની શેરો છુટવા લાગી. ગોવાળે આશ્ચર્ય સાથે એ પથરાનો ઢગલો ખસેડયો તો તેની નીચેથી મહાદેવનું બાણ (શીવલીંગ) પ્રગટ થયું. (આવી જ ઘટના વલસાડ જિલ્લાના પણ એક મંદિર માટે બનેલી સાંભળી છે)

    ગોવાળે બનેલી આ વાત અરણીટીંબામા જઇ બ્રાહ્મણો અને સોનીને કરી. આખુ ગામ ટેકરી માથે ભેગુ થયુ અને લોકોને શીવલીંગ પર આસ્થા બંધાણી. થોડો સમય જતા લોકો પુજા કરવા એક ઠા થવા લાગ્યા અને તેમાથી કોઇકે આ ગોવાળને કહ્યુ કે: આ શંભુ સ્વયંભુ કેહવાય કેમકે તે પોતાની ઇચ્છાથી પ્રગટ થયેલ છે, આના ઉપર આસ્થા રાખે તેને ધાર્યુ ફ્ળ મળે. આ વાક્યો ચાલક ગોવાળે સમજી લીધા અને બીજે દહાડે મધ્યાહન કાળે નાહી ધોહી, સ્વચ્છ વસ્ત્રો ધારણકરીને‘કમળપુજા’ કરવાનો વિચાર કરી મહાદેવ સમક્ષ બેસી પોતા ના જ હાથે માથું કાપીને (માથારૂપી) ક્મળ ચડાવી પૂજન કર્યુ. આમ માથું કપાણા પછી પછી ધડે પુજન કર્યુ. એ પુરુષ ઉપર મહાદેવ રીઝયા અને તે જીવનો જામ રાવળના માતાજીના પેટે અવતાર આપ્યો.

        જામરાવળનો માથાનો દુ:ખાવો કેમેય કરીને મટતો નહોતો. ત્યારે કોઈ તેમને કહ્યુ હતુ કે વિદ્વાન બ્રાહ્મણ પંજુ ભટ્ટજીને બોલાવીને તેમનું માર્ગદર્શન લેશો તો કોઈ રસ્તો નિકળશે.  પંજુ ભટ્ટજીએ પોતાની વિદ્યાથી જોઈને ઉપર મુજબની અરણીટીંબાના ભગા ભરવાડની વાત કરી.

        આ સાંભળી સભાના સર્વેલોકો આશ્ચર્ય પામ્યા અને સર્વેને એ વાત અસંભવિત લાગી, પણ પછી જાતે જઇને તપાસ કરવાનો નિશ્ચય કર્યો.રાવળ જામશ્રી પોતાની સવારી સાથે ઘણા વિદ્રાનો અને ત્રીકાળદર્શી એવા પંજુ ભટ્ટજીને સાથે લઇ એ ટેકરી પર ગયા અને સર્વેને “અરણી”નું ઝાડ દેખાડ્યુ, એ વખતે પવન ધીમો હોવાથી જામરાવળજીને માથામાં દરદ ન હતું. ત્રિકાળદર્શીને ખાત્રી કરી આપવાનું કહેતા તેણે તરત ઉભા થઇને અરણીના ઝાડની ડાળ ઝાલી જોરથી આંચકો મારતા જામરાવળશ્રી અસહ્ય માથાની પીડાથી રાડ પાડી ઉભા થઇ ગયા, તેથી સર્વેને પૂર્ણ ખાતરી થઇ. પછી જામસાહેબશ્રીએ પોતાના દર્દનો ઉપાય પુછ્યો.

        અરણીના ઝાડ વિષે પંજુ ભટ્ટજીએ કહ્યુ કે ક્મળ પુજા કર્યા પછી તે માથું મહાદેવજીની જળાધારી ઉપરથી રળતા રળતા આ જગ્યાએ ખાડો હતો, તેમાં આવ્યું અને તેમા વર્ષો જતાં એ ખોપરી (તુંબલી)માં અરણીનું ઝાડ ઉગ્યું, હવે એ ઝાડનો સોટો હલે એટલે જામશ્રીના માથામાં આ તુંબલીનો પૂર્વાશ્રમનો સબંધ હોવાથી વેદના થાય છે.પછી તેનો ઉપાય પૂછવાથી પંજુ ભટ્ટજીએ કહ્યુ કે તુંબલીને કાંઇ અડચણ ના આવે તેમ આ ઝાડના સોટાને કાપી નાખો.

        જોષીના કેહવા પ્રમાણે આસપાસની જગ્યા ખોદાવી, તુંબલીને ઇજા ન થાય તેમ તે તુંબલીને પવિત્ર બ્રાહ્મણોના હાથે કઢાવી, ને જોશીએ તે મશરૂમમાં વીંટીં એક કરંડીયામાં રૂના પોલમા મેલી તેમા રખાવી તેનું રક્ષણ કરવાનું કહ્યું. આમ કરવાથી જામરાવળના માથાનું દરદ મટી ગયું.

    જામનગર આવી જોશીના કહેવા પ્રમાણે તે તુંબલીનો કરંડીયો એક ઓરડાના આળીયામાં રખાવ્યો, અને ત્યાં ધુપ દીવો કરી તેની પુજા હંમેશા કરવા લાગ્યાં. રાવળ જામશ્રી પોતાના પુર્વ જન્મ વિશેની વિરતાથી ખુશ થયા. ત્રીકાળદર્શી પંજુ ભટ્ટને પુષ્કળ દ્રવ્યો આપી વિદાય કર્યા.

        મોસમમાં દાણા તૈયાર થતા ખેડુતો દરબારી ભાગનાં દાણા ભરીને આવવા લાગ્યાં. એ વખતે એક ખેડુતે તુંબળીવાળા ઓરડા પાસે બળદ બાંધ્યા,પછી દાણા ઉતારી બળદને ગાડે જોડી હાલતો થયો, તે પછી જામરાવળજી ત્યાં નિક્ળ્યા અને એ ઓરડા પાસે બે બળદ બાંધેલા જોઇ, ખેડુત બળદ ભુલી ગયો હશે; તેવુ વિચારી સીપાઇયો સાથે બળદ પાછા મોક્લાવી આપ્યા. ખેડુતે કહ્યુ કે મારા બળદ તો આ રહ્યા. તેથી સીપાઇ ખેડુત અને બળદને લઇ પાછો આવ્યો, ત્યા ઓરડા પાસે તેવાજ રંગના બીજા બે બળદો જોઈ જામશ્રી ને આશ્ચર્ય થયુ.

        તેથી ફરી પંજુ ભટ્ટને બોલાવી કારણ પુછ્યુ. ત્રીકાળદર્શીએ કહ્યુ કે “મહાદેવ તમને સહાય થયા છે, માટે તમે તેની સ્થાપના કરો અને તુંબલીને પણ સાથે લઇ ત્યાં વિધીપૂર્વક તેનો અગ્નીસંસ્કાર કરો”.

        પછી જામ રાવળશ્રીએ સર્વ અમીર ઉમરાવો અને બ્રાહ્મણોને સાથે લઇ મોટા રસાલા સાથે તે જંગલમાં (આજના જડેશ્વર) આવ્યા અને ત્રીકાળદર્શી પાસે અરણીના ઝાડની જડ ઉપર મહાદેવની સ્થાપના કરાવી. પોતાને તે પૂર્વાશ્રમમાં જંગલોમાંથી જડ્યા હોવાથી તેનું નામ‘જડેશ્વર’રાખ્યુ. મહાદેવની પશ્ચિમે થોડે દૂર તુંબલીનો વિધીપૂર્વ ક અગ્નીસંસ્કાર કર્યો અને ત્યાં રાવળેશ્વર મહાદેવની સ્થાપના કરી. જામશ્રીએ ત્યાં શીખરબંધ મંદીર બંધાવી ચોરાશીઓ કરી બ્રહ્મભોજ કરાવી ખુબ દક્ષિ ણા આપી સંતુષ્ટ કર્યા. ત્યાર પછી પંજુ ભટ્ટજીએ કહ્યુ કે તમારા બે સારા ઘોડાઓ લાવી અહીં બાંધો અને એક પ્રહર પછી છોડી દેજો જામશ્રીએ તેમ કર્યુ અને તેવાજ બીજા બે ધોડા બાંધેલા દીઠા, ફરી એ ધોડાઓ છોડી લીધા તે પણ ત્યાં તેવા જ બે ધોડાઓ બાંધેલા દીઠા. જેમ જેમ ધોડા છોડતા જાય, તેમ ત્યાં ધોડા ફરી બાંધેલા જોવા મળ્યા, આથી ભટ્ટજીએ બોલ્યા કે “આ મહાદેવની કૃપાથી તમારો ધણો મોટો પ્રતાપ વધશે. અને આખો હાલાર દેશ તમારા ક્બજે થશે, વળી મહાદેવની આજ્ઞા છે કે, જે ઓરડામાં તે તુંબલી રાખી હતી, તે ઓરડામાં તમે ધોડાઓ બાંધજો અને સવારે તેમનુ દાન કરવાથી ત્યાં તેટલાજ બીજા ધોડાઓ થશે અને સાંજે ઘોડાઓ છોડો તે લશ્કરમાં રાખજો, મહાદેવ તમારા ઉપર અતિ પ્રસન્ન છે.”

        આમ કહી સહુ જામનગર ગયા અને પંજુ ભટ્ટજીનો યોગ્ય સત્કાર કર્યો. તેમને રહેવા માટે ધરો આપવામાં આવ્યા અને તેમના નામને અને યાદને જીવંત રાખવા જામશ્રી એ જામનગરમાં એક વિશાળ‘પંજુ ભટ્ટજીની વાવ’ ખોદાવી.

    ત્રિકાળદર્શીના કહેવા મુજબ તે ઓરડામાં ઘોડાઓ બાંધી સવાર થતા છોડી દઈ ચારણ, બ્રાહ્મણો, ભાટ વગેરેને ધોડા તે દાનમાં આપતા. જામશ્રીની દેશ-વિદેશમાં કિર્તી પ્રસરી ગઇ, તેમજ સાંજે ધોડાઓ છોડતા એક જબરી ફોજ એકઠી કરીને આખો હાલાર પ્રદેશ જીતી લીધો તે ઉપરથી પ્રાચીન દુહો છે કેઃ

        જડીયો જંગલમાં વસે,ધોડાનો દાતાર; ગૂઠો રાવળ જામને, હાંકી દીધો હાલાર

    એ પ્રતાપી જડેશ્ર્વર મહાદેવની જગ્યા હાલપણ ઘણીજ પ્ર સિધ્ધ છે. વાંકાનેરથી દશ કી.મી ઉપર પશ્ચીમે છે. જડેશ્વરના મંદીરમાં વિશાળ ગૌશાળા છે. અહીં ગાયોના દુધનું ધી બનાવી શકાતુ નથી, જે દુધ વેચી શકાતુ નથી. તેની પાછળ પણ એક કથા છે. ગૌશાળાની ગાયો એક વખત લૂંટારાઓ હાકી જતા હતા. મંદીરની ઉતરાખંડના ખાખી સાધુઓની જમાતનો મુકામ હતો. જમાત ગૌધનની વહારે ચડી. સાધુઓ સાથેના ધીંગાણામાં સાધુઓ અને જમાતના મહંત કામ આવ્યા.ગૌધન માટે ખપી જનાર પુણ્યાત્માઓની સ્મૃતિમાં જડેશ્વરમાં દુધમાંથી ધી બનાવાતુ નથી, વલોણુ કરાતુ નથી. દરરોજ જે દુધ ઉત્પન્ન થાય છે તે પુજા અને યાત્રાળુ માટે વાપરી નાખવામાં આવે છે.

    જડેશ્વર મહાદેવમાં ત્રણબાજુ શૃંગાર ચોકીવાળો સભામંડપ, નાગરાદિ શ્રેણીવાળો શિખરભાગ મંડોવર, ગોળ ધુમ્મટ વગેરે સાદા છતા આકર્ષક દેખાય છે. ટેકરી ઉપર ચડીને ઉંચો ગઢ જેવો દરવાજો વટાવી મંદીરમાં પ્રવેશાય છે. તળેટી ઉપર જવાના પગથિયાં કચ્છનાં સુંદરજી ખત્રીએ બંધાવી આપ્યા હતા. સુંદર ધર્મશાળા સાથે રહેવાની વ્યવસ્થા છે. શ્રાવણ માસના બીજા સોમવારે ત્યાં વિશાળ મેળો ભરાય છે.

        જામ રાવળજીના વખતથી કાયમ ધીનો દીવો અને પૂજન માટે પ્રબંધ બાંધેલ છે, તે હજુ સુધી ચાલુ જ છે. મહારાજા જામ રણજીતજી સાહેબ બહાદુરે ત્યાં પધારી ચોરાશી કરી કાયમના માટે મોટી રક્મ બંધાવી આપેલ છે. પાસે રમનારા હજી પણ “દેજો રાવળજામનો ઘોડો” તેમ કહી પાસાઓ નાખે છે અને જડેશ્વર દાદાના પ્રતાપે પાસા સવળા જ પડે છે.

        અન્ય માહિતી પ્રમાણે આ રતનટેકરી પર જીર્ણોધ્ધાર જામરાવલજી એ કરાવ્યો. પણ મંદિર બહું પ્રાચિન છે. તેની સ્થાપના જેઠવા વંશ ની 98 મી પેઢીમાં ગોવિંદજી જેઠવા થયા. ગોવિંદજી જેઠવાની રાજધાની મોરબી હતી ને ”નાયોજી” અને” ધાકોજી” એ બે ભાઇઓ હતા. તેમને મોરબી થાણાના તાબાના મુલકનું ઉપરીપણું સોપેલું હતું. તેમણે જડેશ્વર મહાદેવની સ્થાપના કરી; વળી ધાકોજીએ ટંકારામાં વાવ બંધાવી જે ”ધોકા વાવ ” નામે કહેવાય છે. આ વાતની પૃષ્ટી હનુમાનવંશી જેઠવા રાજપૂતો ની શૌર્ય ગાથા નામના પુસ્તક માં કરાયેલ છે. (સંપાદિત)

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!