પંદર વર્ષનો ઘરસંસાર પીંખાયો
વિસીપરામાં રહેતો યુવાન પણ આરોપી
મૃતકના ભાઈની મહિલા, તેના ભાઈ અને પ્રેમી સામે દુસ્પ્રેરણની ફરિયાદ
ઝેર પીધા પછી પત્ની હોસ્પિટલમાં પતિની ખબર કાઢવા પણ ન ગઈ
વાંકાનેર: મૂળ થાનના રહીશ હાલ વાંકાનેરમાં દંપતી રહેતું હતું, ત્યારે એમની પત્નીને વાંકાનેરના એક યુવાન સાથે પ્રેમ થઈ જતા બન્ને વચ્ચે ઝઘડા થતા હતા. જેમાં રીસામણે રહેલી પત્નીને યુવાન લેવા જતા પત્ની અને તેના ભાઈએ હડધુત કરતા લાગી આવતા ઝેરી દવા પી મોતને વહાલુ કરી લીધુ હતુ. આ અંગે મૃતકના ભાઈએ મહિલા, તેના ભાઈ અને પ્રેમી સામે મુળી પોલીસ મથકે દુસ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે.
‘સંદેશ’ દૈનિકના અહેવાલ મુજબ થાનના મફતીયાપરામાં રહેતા ચેતનભાઈ દેવજીભાઈ મકવાણાના લગ્ન મુળી તાલુકાના રાયસંગપર ગામે રહેતા લક્ષ્મીબેન કમાભાઈ રાઠોડ સાથે 15 વર્ષ પહેલા થયા હતા. ચેતનભાઈને વાંકાનેર કારખાનામાં નોકરી લાગતા તેઓ પત્ની સાથે વાંકાનેર ગયા હતા. અને વાંકાનેરના વીશીપરામાં મકાન ભાડે રાખી રહેતા હતા. દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જેમાં
લક્ષ્મીબેનને પડોશમાં રહેતા ભાવેશ કોળી સાથે આડા સબંધ થઈ ગયા હતા. ઝઘડાને લઈને લક્ષ્મીબેન અવારનવાર રીસામણે જતા રહેતા ચેતનભાઈ પત્ની અને ભાવેશને સબંધ ન રાખવા જણાવતા હતા. જયારે તેમના સાળા રાયસંગપર ગામે રહેતા અશોક રાઠોડને આ અંગે કહેતા તેઓ પણ બન્નેનું ઉપરાણુ લઈને ચેતનભાઈને ધમકાવતા હતા. તા. 10-9ના રોજ ચેતનભાઈ રીસામણે રહેલી પત્નીને લેવા રાયસંગપર ગયા હતા. જેમાં અશોક રાઠોડ અને લક્ષ્મીબેને ચેતનભાઈને જેમ ફાવે તેમ કહી હડધુત કરતા તેઓને લાગી આવતા 
ઝેરી દવા પી લીધી હતી. જેમાં તેઓએ સાત દિવસ સારવાર લીધી હતી પરંતુ લક્ષ્મીબેન તેમની ખબર પુછવા પણ આવ્યા ન હતા અને સારવાર દરમીયાન તા. 17-9 ના રોજ ચેતનભાઈનું મોત થયુ હતુ. આ બનાવમાં મૃતક ચેતનભાઈના ભાઈ વિક્રમભાઈ મકવાણાએ લક્ષ્મીબેન મકવાણા, વાંકાનેરનો ભાવેશ કોળી અને રાયસંગપરના અશોક રાઠોડ સામે મુળી પોલીસ મથકે દુસ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીઆઈ પી.બી.લક્કડ ચલાવી રહ્યા છે…
