પ્રજાના ટેક્સના પૈસામાંથી હાથ ધરાતા વિકાસ કામો ઉપર પદાધિકારીઓ અને અધિકારી ધ્યાન રાખે
મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવતી ૧૧૫ જેટલી વાડી વિસ્તાર તથા સોસાયટીઓમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે તેને સરકારમાંથી જે કામ મંજૂર કરવામાં આવ્યું છે, તે ૧૧ કરોડથી વધુના ખર્ચે નાખવામાં આવનાર પીવાના પાણીની લાઈનના કામનું મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, ભાવેશભાઈ કંઝારીયા, રીસીપભાઈ કૈલા, મોરબી નગરપાલિકાના માજી પ્રમુખ કુસુમબેન પરમાર, માજી ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ માજી સભ્યો સહિતનાઓની હાજરીમાં ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું,
આ પ્રસંગે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કહ્યું હતું કે, પ્રજાના ટેક્સના પૈસામાંથી વિકાસના કામોને હાથ ધરવામાં આવતા હોય છે, ત્યારે પદાધિકારીઓ અને અધિકારી તેના ઉપર ધ્યાન રાખે. તેની સાથોસાથ લોકોની પણ જવાબદારી બને છે કે કામ સારા અને મજબૂત બને, તેના માટે થઈને તેઓ પણ ધ્યાન આપે અને ખાસ કરીને તેઓએ વાંકાનેર પાલિકામાં અગાઉ જે સ્વભંડોળની રકમ હતી, તેમાંથી આડેધડ ખર્ચા વહીવટદારના શાસન દરમિયાન કરવામાં આવ્યા હોય તે બાબતની પણ તપાસ થશે. સ્ટ્રીટ લાઇટની ખરીદીમાં મોટા પ્રમાણમાં ગેરરીતી થઈ હોવાથી તેની પણ તપાસ કરવામાં આવશે.