તાલુકામાં 15 થી 20 જેટલા દીપડા હોવાનો અંદાઝ
વન વિભાગના 30 જેટલા કર્મચારીઓ દ્વારા સતત બે દિવસ સુધી કામગીરી કરાશે
વાંકાનેર : તાલુકાના વીડી વિસ્તારમાં દીપડાનો વસવાટ હોય ગુજરાત સરકારની સૂચના મુજબ વાંકાનેર વનવિભાગ દ્વારા દીપડાની ગણતરી કરવામાં આવશે, સૂત્રોના મતે વાંકાનેર પંથકમાં અગાઉ સત્તાવાર રીતે 12થી 15 જેટલા દીપડા હોવાનું અને છેલ્લા વર્ષોમાં દીપડાની વસ્તી વધી હોવાના અનુમાન વચ્ચે વાંકાનેર વનવિભાગના 30થી વધુ કર્મચારીઓ સતત બે દિવસ સુધી ચાલાક, ચપળ દીપડાની વસ્તીનો ક્યાસ મેળવશે.
વનવિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2016 બાદ સાત વર્ષ પછી રાજ્યભરમાં દીપડાની વસ્તીનો અંદાજ મેળવવા ગણતરી કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે, મોરબી જિલ્લામાં વાંકાનેર પંથકમાં દીપડાની સપ્રમાણ વસ્તી હોય વાંકાનેર વનવિભાગ દ્વારા પણ દીપડાની ગણતરી માટે તૈયારી શરૂ કરવામાં આવી છે, વધુમાં વાંકાનેર પંથકમાં વનવિભાગ દ્વારા 30 કર્મચારીઓની મદદથી સતત બે દિવસ સુધી ગણતરી કાર્ય હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2011માં ગુજરાતમાં દિપડાની સંખ્યા 1160 હતી. જયારે વર્ષ 2016 માં દિપડાનો આંક વધીને 1395 નોંધાયો હતો. આ વખતની ગણતરીમાં પણ દીપડાની વસ્તીમાં 25 થી 30 ટકા વધારો થવાનો અંદાજ છે. ખૂબ જ ચાલાક અને ચપળ પ્રાણી ગણાતા દિપડાની વસ્તી ગણતરી માટે વાંકાનેર પંથકમાં કેમેરા, ફુટમાર્ક, અવાજ અને પ્રત્યક્ષ રૂપે ગણતરી કરવામાં આવશે. હાલમાં વાંકાનેર પંથકમાં 12થી 15 દીપડા છે અને મોટી સંખ્યામાં દીપડાની વસ્તી વધવાનો અંદાજ સેવાઈ રહ્યો છે.