બાળકોનો કોળિયો ઝુંટનાર સંસ્થાઓ સામે સંબંધિત અધિકારીઓ પગલા કેમ લેતા નથી?
વાંકાનેરઃ નામદાર સુપ્રિમ કોર્ટના આદેશથી સમગ્ર ભારતમાં અમલી બનેલી મધ્યાહન ભોજન (મ.ભો.) યોજનાનો મૂળ હેતુ વધુ બાળકો શાળાએ આવવા પ્રેરાય અને તેમને સારો પૌષ્ટીક નાસ્તો આપવામાં આવે, જેથી કુપોષણનો ભોગ બનતા બાળકોની ટકાવારીમાં ઘટાડો થાય, પરંતુ આંકડા આનાથી ઉલટા જ જોવા મળી રહયા છે. મ.ભો યોજનામાં ખાદ્ય સામગ્રી સપ્લાય કરવા સરકારે સંસ્થાઓ (એનજીઓ)ને કામ સોંપ્યું છે. અવારનવાર મિડીયામાં સમાચારો ચમકે છે કે મરચા પાવડરમાં રંગ મળી આવ્યો, કઠોળમાં ફૂગ અને આમ ખાદ્ય સામગ્રીમાં ભેળસેળના સમાચારો સાંભળવા- વાંચવા મળી આવે છે અને ત્યારે મોટાભાગે લોકો આ માટે મ.ભો યોજનાના સંચાલકો જ જવાબદાર છે, તેવું માનતા હોય છે. હકીકતમાં એવું નથી.
મ.ભો યોજનામા બનાવવા માટેની સામગ્રીનું લેબોરેટરીમાં પરિક્ષણ કરતા નમુના ફેલ થતા હોય છે. હલકી ગુણવત્તાની આ સામગ્રીના કારણે બાળકોને અપાતું ભોજન ખરેખર ખાવાલાયક હોય છે કે કેમ, તે એક યક્ષ પ્રશ્ન છે. બાળકો અવા ખોરાકથી ટેવાઇ ગયા છે. બાળકોના કુપોષણ બાબતે સરકારને ફિટકાર પડી રહયો છે. જો સારો ખોરાક મળતો હોત તો આટલા પ્રમાણમાં બાળકો કુપોષણનો ભોગ બનતા નહોત.
બાળકોનો કોળિયો ઝુંટનાર સંસ્થાઓ સામે સંબંધિત અધિકારીઓ પગલા કેમ લેતા નથી? લેબોરેટરીમાં ફેલ થતી હલકી સામગ્રી આપનાર સંસ્થા અને ઉચ્ચ અધિકારોની સાંઠગાંઠ હોવાની પ્રબળ લોકશંકા છે. ગાંધીનગરના અધિકારીઓએ હપ્તાને બદલે બાળકો અને તેના સ્વાસ્થ્યનો વિચાર કરવાની જરૂર છે. અધિકારીઓના આંખ આડા કાન કરવાની વૃત્તિ દેશના ભાવિ સાથે ચેડા કરવા સમાન છે.