આમરણ – જામનગર અને લતીપર-સાવડી રોડ બંધ
મચ્છુ-1 છલકાઈ જતા મચ્છુ-2 ડેમના તમામ દરવાજા ખોલાયા
વાંકાનેર: મોરબી – કચ્છને જોડતા હાઇવે ઉપર માળીયા મિયાણા નજીક મચ્છુ નદીના પાણી ફરી વળતા કચ્છ નેશનલ હાઇવેને સામખીયારીથી બંધ કરી દેવામાં આવ્યો છે, કચ્છ એસપીના જણાવ્યા મુજબ મચ્છુના પાણીને કારણે આગામી 36 કલાક સુધી હાઇવે બંધ રહી શકે છે…
અતિભારે વરસાદને કારણે મોરબીના મહાકાય મચ્છુ-1 છલકાઈ જતા મચ્છુ-2 ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવતા હાલમાં અઢી લાખ ક્યુસેકથી વધુ પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું હોવાથી માળીયા મિયાણા નેશનલ હાઇવે ઉપર મચ્છુના પાણી ફરી વળ્યાં છે અને લોકોની સલામતી માટે કચ્છ પોલીસે સામખીયારી પાસેથી જ નેશનલ હાઇવે વાહન ચાલકો માટે બંધ કરી દીધો છે. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે, અતિભારે વરસાદને કારણે મોરબીના મચ્છુ-2 ડેમના 32 જેટલા દરવાજા ખોલાતા સામખીયારી – મોરબી નેશનલ હાઇવે વાહન ચાલકોની સલામતી માટે બંધ કરાયો છે. વધુમાં મોરબી – કચ્છ હાઇવે બંધ કરવામાં આવતા કચ્છથી અમદાવાદ તરફ જતા વાહન ચાલકોને વાયા પાલનપુર હાઇવેનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે, વર્તમાન સ્થિતિ જોતા આગામી 36 કલાક સુધી મોરબી કચ્છ હાઇવે બંધ રહે તેવી શકયતા પણ કચ્છ પૂર્વ એસપીએ વ્યક્ત કરી હતી.
લતીપર-સાવડી રોડ બંધ
ભારે વરસાદના કારણે વાહન વ્યવહારને અસર પડી છે. પાણી ભરાયા હોવાથી ઘણા રોડ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. જેમાં બ્રિજ પર પાણી હોવાથી લતીપર-સાવડી રોડ બંધ કરવામાં આવ્યો છે. જયારે લીલાપર પાસે મચ્છુ ડેમના હેઠવાસમાં આવેલા બ્રિજ નીચે પાણી હોવાથી બાયપાસ-2 રોડ પણ બંધ કરાવવામાં આવ્યો છે. જેથી આ રોડ પર કોઈએ અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જ્યારે નાગલપર વાળો રોડ ચાલુ કરી દેવામાં આવ્યો છે.
આમરણ – જામનગર રસ્તો પણ બંધ કરાયો
મોરબી તાલુકાના આમરણથી જામનગર જતા માર્ગ ઉપર પાણી ભરાઈ જતા સલામતી માટે આમરણ – જામનગર રૂટને પણ બંધ કરવામાં આવ્યો છે. આમરણ જામનગર રસ્તો બંધ થતાં માળીયા – જામનગર હાઇવે રૂટને પણ અસર પહોચી હોવાનું જાણવા મળે છે.