વાંકાનેરના 5 પેટ્રોલપંપને સાત દિવસની મુદત અપાઇ
NOC રજૂ નહીં કરી શકે તો પંપ નગરપાલિકા દ્વારા સીલ કરવા સુધીની તૈયારી
વાંકાનેરમાં પેટ્રોલપંપ ધરાવતા પાંચ સંચાલકને સાત દિવસમાં ફાયર એનઓસી રજૂ કરવા પાલિકા તંત્રએ નોટિસ ફટકારી છે અને જે સંચાલક આ નિયત મુદતમાં એનઓસી રજૂ નહીં કરી શકે, તેમના પંપ સીલ કરવા સહિતની કાર્યવાહી થશે; તેમ પાલિકા સુત્રોએ ઉમેર્યું છે. અમુક પેટ્રોલ પંપમા ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી-રેગ્યુલરાઇઝેશનની જોગવાઇનું પાલન થતું ન હોવાથી પાલિકા તંત્ર આકરા પાણીએ આવી ગયું છે.
વાંકાનેર પાલિકા દ્વારા પાલિકા વિસ્તારમાં આવતા પાંચ પેટ્રોલ પંપની તપાસ કરવામાં આવી હતી અને પાંચ પંપ માલિકને ફાયર એનઓસી રજૂ કરવાની નોટિસ આપવામાં આવી હતી. આ પંપમાં ફાયર પ્રિવેન્શનની જોગવાઇનું ઉલ્લંઘન થતું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું હોઇ ઉપરોક્ત એકટ નિયમો તેમજ કોડની જોગવાઈ અંતર્ગત નિયમોનુંસારની કાર્યવાહી કેમ ન કરવી ? તે અંગેનો ખુલાસો દિવસ 7 રજૂ કરવા નોટિસ અપાઇ છે. સાથે એવી ચીમકી પણ અપાઇ છે કે આ નોટિસ મળ્યાના સાત દિવસમાં એનઓસી રજૂ નહીં થાય, તો બાદમાં પંપ સીલ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરાશે તેવી સ્પષ્ટતા કરાઇ છે.
નોટિસ બાબતે પાલિકાના અધિકારીએ જણાવ્યુ હતું કે પાલિકા વિસ્તારમાં કુલ પાંચ પેટ્રોલ પંપ આવે છે, જેમાંથી બે પંપ માલિકને રૂબરૂ નોટિસ આપવામાં આવી છે. બાકીના ત્રણને ટપાલ મારફતે મોકલવામાં આવી છે; ત્યારે હવે જોવું રહ્યું કે કેટલા પંપ માલિકો પાસે ફાયર સેફ્ટી અંગેના એન.ઓ.સી. છે, અને રજૂ થાય છે, અને જેની પાસે એન. ઓ.સી. નથી, તો નોટીસની મુદત પૂરી થયા બાદ પેટ્રોલ પંપને સિલ કરવામાં આવશે કે કેમ તે સમય આવ્યે જાણવા મળશે.