જેતપરડાના આગેવાનોનું પ્રાંત કચેરીમાં આવેદનપત્ર
વાંકાનેર: તાલુકાના સરધારકા ગામ ખાતે ખાનગી કંપની દ્વારા સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવેલ હોય, જે કંપની દ્વારા હેવી વિજ લાઈન પાથરવા માટે કોન્ટ્રાક્ટર મારફતે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ગઈ કાલે જેતપરડા ગામ ખાતે ખેડૂતોના ખેતરના શેઢે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર મનમાની પુર્વક વિજપોલ ઉભા કરવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ મામલે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો….


સ્થાનિક ખેડૂતો, ગ્રામ પંચાયત, તાલુકા-જીલ્લા તંત્રની કોઈપણ પ્રકારની મંજૂરી વગર કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી આ કામગીરી સામે ગ્રામજનોએ વાંકાનેર પ્રાંત કચેરીમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત અને બાબતની જાણ જવાબદાર તંત્રને પણ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. આ સાથે જ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી મનમાની પૂર્વકની આ કામગીરી સામે સ્થાનિક ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ સાથે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનના મંડાણનો રસ્તો કંડારવામાં આવી રહ્યો છે, જેના માટે જેતપરડા ગામના ખેડૂતો દ્વારા ગઈ કાલે રાત્રીના ગ્રામસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાની વિગતો મળી રહી છે…


