વાંકાનેર શહેર મુસ્લિમ અગ્રણીઓની મીટિંગ
જુલૂસમાં ફટાકડા ફોડવા અને કલર ઉડાડવા પર પ્રતિબંધ
વાંકાનેર: પયગંબર હઝરત મોહંમદ સાહેબ (સલ્લલ લાહો અલયહ વ આલે હી વસલ્લમ) ના 1500માં મિલાદ શરીફ (જન્મ જયંતિ) ઉજવવા માટે વાંકાનેરના મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.
આ પ્રસંગે લક્ષ્મીપરા – હુસૈની ચૌક ખાતે તા.28/08/2025 ગુરુવારના રોજ પુર્વ ધારાસભ્ય મોહંમદ જાવેદ પીરઝાદાના અધ્યક્ષસ્થાને વાંકાનેર શહેર મુસ્લિમ સમાજના યુવાનો અને આગેવાનોની મીટિંગ યોજવામાં આવી. જેમાં મીરસાહેબ પીરઝાદાના પુત્ર એડવોકેટ શકીલ પીરઝાદા, મુસ્લિમ સમાજના મહામંત્રી મોહંમદભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા.
આ પ્રંસંગે તમામ યુવાનો પાસે સૂચનો માંગવામાં આવ્યા, જેમાં નીચે પ્રમાણે સર્વાનુમતે નિર્ણયો લેવામાં આવ્યા.
(1) રાબેતા મુજબ ઈદે મિલાદના દિવસે તા.05/09/2025 ના રોજ જુમ્માની નમાઝ બાદ લક્ષ્મીપરા – મીરુમિયાં બાવાની દરગાહથી જુલુસ શરુ થશે, જે દાણાપીઠ ચૌકથી જોરાવાર પીરબાવાની દરગાહે પહોંચી સલાતો સલામ બાદ આ જુલુસ ગ્રીન ચૌકથી મેઈન બજાર- ચાવડી ચૌકથી શાહબાવાની દરગાહે પહોંચી ત્યાં ચાદર ચઢાવી આ જુલુસ રામ ચૌક- પ્રતાપ ચૌક- માર્કેટ ચૌકથી પ્રતાપ રોડ થઇ લક્ષ્મીપરા હુસૈની ચૌક ખાતે વિસર્જન થશે. બાદમાં જવાસા રોડ પાસે આવેલા હૈદરી ચૌક ખાતે આમ નિયાઝ રાખવામાં આવેલ હોઈ જેનો લાભ તમામ લોકોએ લેવા જાહેર અપીલ કરવામાં આવી છે.
(2) આ પ્રસંગે લક્ષમીપરા હુસૈની ચૌક ખાતે તા.04/09/2025 ગુરુવારની મોડી રાત્રીથી સુબહ સાદિક સુઘી પયગંબર સાહેબની યાદમાં નાત શરીફ – સલાતો સલામ પેશ કરવામાં આવશે.
(3) આયોજકો દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે કે, આ જુલૂસમાં ફટાકડા ફોડવા અને કલર ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ જુલૂસમાં ડીજે પર ધીમે અવાજે ફક્ત નાત શરીફ કે કવ્વાલી વગાડવાની જ છૂટ છે, અન્ય કોઈ ગીત – સંગીત પર સખ્ત મનાઈ કરવામાં આવી છે.
(4) માહે રબીઉલ અવ્વલના હાલના દિવસોમાં ઈદે મિલાદ સુધી તમામ મુસ્લિમ બિરાદરો પોતાના ઘરો અને દુકાનો સીરીજ લાઈટ થી શણગાર કરે તેવી અપીલ કરવામાં આવી છે.
ઈદે મિલાદની ઉજવણી બાબતની વાંકાનેર શહેર મુસ્લિમ સમાજના યુવાનો અને અગ્રણીઓની આ મીટિંગના નિર્ણયોની તમામે નોંધ લેવા તાકીદ કરવામાં આવી છે.
