‘આપ’ ના રણછોડભાઈ થુલેટિયાનો માનવતાવાદી અભિગમ
અકસ્માતમાં ઈજાગ્રસ્ત પ્રિયંકાના પિતા અમદાવાદ સારવાર લઈ રહ્યા છે
વાંકાનેર: મજબુત મનોબળને કદી કોઇ સીમાડા નડતાં નથી હોતા અને હાડકાં તૂટવાની વેદના મન પર હાવી થતી નથી હોતી આ ઉક્તિને બોર્ડની ધો.10ની પરીક્ષાર્થીએ સાકાર કરી છે. વાંકાનેરના રૂપાવટીના અશોકભાઈ બાવળિયા તેમના પત્ની તેમ જ પુત્રી મોટર સાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે અડફેટે લેતા ત્રણેય ઇજાગ્રસ્ત થયા હતા તથા તેમના પત્નીને સામાન્ય ઇજા થઈ હતી
જ્યારે ધો. 10 માં અભ્યાસ કરતી પુત્રી પ્રિયંકાને પગમાં ફ્રેકચર સહિતની ઇજાઓ થઈ હતી. આમ આખો પરિવાર ઈજાગ્રસ્ત હોય પુત્રીની પરીક્ષાની ચિંતા વ્યક્ત કરી હતી. જો કે પુત્રી પ્રિયંકાએ પરીક્ષા આપવાની હિંમત દાખવતા ગામના અને ‘આપ’ ના નેતા રણછોડભાઈ થુલેટિયાએ પુત્રીની 
હિંમતને બિરદાવી સારવાર લઈ રહેલા અશોકભાઈને મળી કહ્યું હતું કે પુત્રીની પરીક્ષાની ચિંતા ન કરશો, પ્રિયંકાની પરીક્ષાની જવાબદારી હું સંભાળી લઉં છું. પરીક્ષા દરમ્યાન રોજ સવારે વાંકાનેરમાં પરીક્ષા સ્થળે પહોંચાડવાની અને પરીક્ષાનું પેપર પૂરું થાય એટલે પરત ઘરે લાવવાની જવાબદારી મારી અને આજથી જ આ માનવતાવાદી અભિગમ અપનાવી સવારે ઘરેથી લઈ આવ્યા હતા અને ઘરે લઈ જતાં હતા.
પ્રિયંકાએ જણાવ્યું હતું કે અમારા પરિવારને અકસ્માત થતા હું ભાંગી પડી હતી અને એક સમય એવો આવ્યો હતો કે 
પરીક્ષાની બધી જ તૈયારીઓ કરી હોય છતાં પરીક્ષાથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. હજુ આજે પણ મારા પિતા અમદાવાદ સારવાર લઈ રહ્યા છે, મને પગમાં ફ્રેકચર હોય તેથી મારે કોઈના સહારાની જરૂર હતી, જે બાબતની મારા પિતાને ચિંતા હતી ત્યારે ભગવાનની કૃપાથી અમારા ગામના જ રણછોડભાઈએ મને હિંમત આપી હતી. પરીક્ષાના બધા પેપરમાં મને ઘરેથી પરીક્ષા સ્થળ સુધી
પહોંચાડવા અને ત્યાંથી પરત ઘરે પહોચાડવાની જવાબદારી સંભાળી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભલે મારા પગમાં ફ્રેકચર હોય પરંતુ હવે મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને મારું પરીક્ષાનું પરિણામ સારું જ આવશે. એક તબક્કે વિચાર આવી ગયો કે હું પરીક્ષા આપવા જઇશ કેવી રીતે?!
સૌજન્ય: દિવ્ય ભાસ્કર
