ભારે દંડની જોગવાઈ
ગાંધીનગર: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક-ર૦ર૫’ સર્વાનુત્તે પસાર થયું છે, અને આ વિધેયક હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ એટલે કે, તા. ૧૨-૯-૨૦૨૫ સુધી વધારવામાં આવ્યો છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સુધારા વિધેયકના મુખ્ય ઉદ્દેશ અને જોગવાઈઓ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યમાં નાના ક્લિનિકથી લઈ મોટી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ, લેબોરેટરી અને ઈમેજિંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓ, તેમજ આ સંસ્થાઓમાં કામ કરતા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની વિગતો, તેમાં ઉપલબ્ધ બેડ, આઈસીયુ, ઈમરજન્સી સેવાઓ વિગેરેની સચોટ માહિતી મળી રહે તે ઉદ્દેશથી
રાજય સરકારે તા. ૧૩-૯-૨૦રર ના જાહેરનામું પ્રસિદ્ધ કરીને “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ-૨૦૨૧થી સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકેલ છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં કઈ હોસ્પિટલ, ક્યા પ્રકારની સેવાઓ આપી રહી છે.
હોસ્પિટલમાં કે ક્લિનિકમાં ક્યા-ક્યા પ્રકારની સુવિધાઓ, સાધનો, કઈ સ્પેશ્યાલિટીના તબીબો છે તેનું ડેટા મેનેજમેન્ટ અને નિયમન કરીને ડિજિટલ રજીસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે. આ એકટ હેઠળ માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિ દ્વારા માંદગી, ઈજા, શારીરિક ખોડ, વિકૃત્તિ અથવા સગર્ભાવસ્થા માટે નિદાન, સારવાર અથવા સંભાળ રાખવા માટેની જરૂરી સેવાઓ, સુવીધાઓ પૂરી પાડતા હોય, તેવી હોસ્પિટલ, પ્રસુતિગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, ક્લિનિક, સેનીટોરીયમ, આ ઉપરાંત લેબોરેટરી, તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજીકલ, બેકટેરીયોલોજીકલ, જીનેટીક, રેડિયોલોજીકલ, કેમિકલ, બાયોલોજીકલ તપાસ અથવા તપાસ વિષયક સેવાઓ આપવામાં આવતી હોય, તેવી સંસ્થાઓનો સમાવેશ કરાયો છે. આ તમામ ઉદ્દેશોને કેન્દ્રમાં રાખીને આ સુધારા વિધેયક દ્વારા કાયદાની કલમ-૯(૪) માં “કાયમી” શબ્દ નહિ, પરંતુ “કામચલાઉ” શબ્દની જોગવાઈ કરાઈ છે…
રાજ્યમાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એકટ-૨૦૨૧ અંતર્ગત તમામ આરોગ્ય સંસ્થાઓએ તા. ૧૨-૩-૨૦૨૫ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. આ સુધારા વિધેયક પસાર થતા નોટીફિકેશન દ્વારા રાજયની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવા માટેનો સમય છ માસ એટલે કે, ૧૨-૯-૨૦૨૫ સુધી વધારવામાં આવશે. વધુમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ નોંધણી આપવા કે રીન્યુ કરવા માટે સમય દોઢ વર્ષ એટલે કે, ૧૨-૯-૨૦૨૬ સુધી વધારવામાં આવશે. આ સુધારા વિધેયકની અન્ય મહત્ત્વની જોગવાઈઓ વિશેની વિગતો ગૃહ સમક્ષ રજૂ કરતા મંત્રીએ કહ્યું હતું કે, નિયમનકારી માળખાને ધ્યાનમાં રાખીને “યોગ અને નેચરોપથી (નિસર્ગોપચાર પદ્ધતિ)” ને માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિની વ્યાખ્યામાંથી બાકાત કરાઈ છે. જિલ્લા રજિસ્ટ્રેશન સત્તામંડળના આદેશો સામેની અપીલ સાંભળવા માટે રાજ્ય કાઉન્સિલને તેના સભ્યો પૈકી કોઈ એક વ્યક્તિને નિયુક્ત કરવાની સત્તા આપવામાં આવી છે. ચિકિત્સા સંસ્થા માટેની રાજ્ય કાઉન્સિલમાં ડેન્ટલ, હોમિયોપથી અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ માટે જે-તે ચિકિત્સા પદ્ધતિની કાઉન્સિલ કે બોર્ડના એક-એક સભ્યની નિમણૂંક માટે જોગવાઈ કરી, તે ચિકિત્સા પદ્ધતિની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ પૂરું પાડવામાં આવ્યું છે…