કુલ ૧૦ ઉમેદવારો મેદાનમાં: ફોર્મ પાછા ખેંચવાનો કાલે છેલો દિવસ
રાજકોટ: રાજકોટ લોકસભા બેઠક ઉપર ગઇકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, તે પછી આજે સવારે ૧૧-૧પ કલાકથી જનરલ ઓબ્ઝવૅર શ્રી ભવાનીસિંઘ દેથાની ઉપસ્થિતિમાં રાજકોટ કલેકટર અને રિર્ટનીંગ ઓફીસર શ્રી પ્રભવ જોષી તથા એડી. કલેકટરો સર્વશ્રી ચેતન ગાંધી, નારણ મૂછાર, શ્રી મીયાણીએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ કરી હતી.
ભાજપ તરફથી ઉમેદવાર શ્રી પરષોતમભાઇ રૂપાલા, ડમી ઉમેદવાર શ્રી મોહનભાઇ કુંડારીયા, સાંસદ રામભાઇ મોકરીયા, સિનિયર ધારાશાસ્ત્રીઓ શ્રી અનિલભાઇ દેસાઇ, શ્રી અર્જુનભાઇ પટેલ, મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા ખાસ હાજર રહયા હતાં, કલેકટરે ભાજપના અન્ય આગેવાનોને સ્કુટીની હોલમાંથી બહાર કાઢયા હતાં.
કોંગ્રેસ તરફથી ઉમેદવાર શ્રી પરેશભાઇ ધાનાણીના પ્રતિનિધી અને એડવોકેટ શ્રી પંકજ કાનાબાર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
સ્કુટીની સમયે અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ ભાજપના ઉમેદવાર શ્રી પરષોતમભાઇ રૂપાલાએ ફોર્મ ભરવામાં રૂા. પ૦ નો સ્ટેમ્પ લગાડયો છે, ચૂંટણી પંચે રૂા. ૩૦૦નો સ્ટેમ્પનો નિયમ દર્શાવ્યો છે, અન્ય રર ભૂલો છે, સોગંદનામાની કોલમ ૭ ક્રમાંક -ર માં હોવાનું સરકારી આવાસનું લેણાપત્ર સામેલ નહી હોવાનું ભાગ-ખ કોલમ-પ માં વિગતો ખોટી આપી હોવાનું વિગેરે જણાવી રૂપાલાના ફોર્મમાં ૩૪ ભૂલોથી ભરેલ અને અધુરી-ક્ષતિ રહિત માહિતી આપી હોય રૂપાલાનું ફોર્મ રદ કરવા માંગણી કરી હતી, જો કે કલેકટરશ્રીએ ચૂંટણી પંચના નિયમો-કલમો-કાયદા મુજબ ટાંકી અપક્ષને જવાબો આપી હોય રૂપાલાનું ફોર્મ રદ કરવા માંગણી કરી હતી, જો કે કલેકટરશ્રીએ ચૂંટણી પંચના નિયમો-કલમો-કાયદા મુજબ ટાંકી અપક્ષને જવાબો આપી પરષોતમ રૂપાલાનું ફોર્મ માન્ય રાખ્યું હતું.
ઉપરોકત અપક્ષના વાંધાઓ અંગે કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરી કલેકટરને રજૂઆતો કરી હતી.
જો કે ચકાસણી બાદ કલેકટરશ્રી પ્રભવ જોષીએ પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપના પરષોતમભાઇ રૂપાલા, તથા કોંગ્રેસના શ્રી પરેશભાઇ ધાનાણીનું ફોર્મ માન્ય રહે છે. અને ઉપરોકત બંને ઉમેદવારના ડમી મોહનભાઇ કુંડારીયા, ડો. હેમાંગ વસાવડાના ફોર્મ આપોઆપ રદ થાય છે, અમાન્ય રહે છે, જયારે ૪ અપક્ષ વેગડા રામજીભાઇ, મેરામણ રૂડાભાઇ, સુભાષ અંબાશંકર પંડયા, તથા સોની મહાજન નરેન્દ્રભાઇના ફોર્મ રદ અમાન્ય રહ્યા છે. ૪ અપક્ષના ફોર્મ અમાન્ય રહયા તેમાં અનેક ટેકનીકલ પોઇન્ટ-અમુક ખામીઓ હોય રદ કરાયા હતાં.
કલેકટરે ઉમેર્યુ હતું કે હવે રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, અને ૭ અપક્ષ સહિત કુલ ૧૦ ઉમેદવારો હોય એક જ ઇવીએમ ની દરેક મતદાન મથકમાં જરૂરીયાત પડશે.
એક જ ઇવીએમનો ઉપયોગ આવતા તંત્રે નિરાંતનો શ્વાસ લીધો છે, જો કે ફાઇનલ ઉમેદવારોની સંખ્યા કેટલી તે રર ના સોમવારે બપોરે ૩ વાગ્યે ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખે ખબર પડશે, તેમજ તે દિવસે દરેક પક્ષ – અપક્ષને પ્રતિકો ફાળવી દેવાશે. સ્ટાફનું બીજા તબકકાનું રેન્ડેમાઇઝેશન અને ઇવીએમના રેર્ન્ડમાઇઝેશન અંગે કલેકટરે ઉમેર્યુ હતું કે આ બાબતે જનરલ ઓબ્ઝર્વરની મંજૂરી મેળવી તેમનો સમય લઇ કાર્યવાહી કરાશે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો