શંકા પડે તો ખેતીવાડી ખાતાના અધિકારીઓનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે
નાયબ ખેતી નિયામક (વિ)શ્રી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, બિયારણ, જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતરની ખરીદી કરતી વખતે ખેડૂતોએ નિચે મુજબની તકેદારી રાખવી જોઈએ.
(1) અધિકૃત લાયસન્સ / પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ અથવા પ્રતિષ્ઠિત વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો,
(2) રાસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાની બોટલ /ટીન, બિયારણની થેલી સિલબંધ છે કે નહિ તેની ચકાસણી કરવી,
(3) ઉપરાંત મુદત પુરી થઈ ગઈ હોઈ તેવી જંતુનાશક દવા કે બિયારણની ખરીદી કરવી નહીં,
(4) ત્રણેય ઇનપુટના વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર, પુરેપુરા નામ, સરનામા તથા તેની સહીવાળા બીલમાં ઉત્પાદકનું નામ/લોટ નંબર/બેચ નંબર તેમજ જંતુનાશક દવા અને બિયારણના કિસ્સામાં તેની ઉત્પાદન અને મુદત પુરી થયા તારીખ વગેરે તમામ વિગતો દર્શાવતું પાકુ બીલ મેળવી લેવું;
(5) તેમજ બીલમાં દર્શાવલ વિગતોની થેલી/ટીન લેબલમાં દર્શાવેલ વિગતો સાથે ખરાઈ કરી લેવી,
(6) ખાતરની થેલી / બારદાન ઉપર ફર્ટીલાઇઝર, બાયોફર્ટીલાઇઝર, ઓર્ગેનિક ફર્ટીલાઇઝર અથવા નોન – એડીબલ ડી – ઓઇલ્ડ કેક ફર્ટીલાઇઝર આવા શબ્દ લખેલા ન હોય તેવી થેલીમાં ભરેલ પદાર્થ ખાતરને બદલે કોઇ ભળતો પદાર્થ હોઇ શકે, આથી આવા પદાર્થોની ખાતર તરીકે ખરીદી ન કરવી,
(7) વૃધ્ધિકારકો ( ગ્રોથ હોરમોન ) સહિત જંતુનાશક દવાના લેબલ ઉપર સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ દ્વારા આપવામાં આવેલ તેનો સી.આઇ.બી. રજીસ્ટ્રેશન નંબર તથા ઉત્પાદન લાયસન્સ નંબર લખેલ ન હોય તેમજ તેના લેબલ ઉપર 45 ના ખુણે હીરાના આકારમાં મુકેલ ચોરસમાં બે ત્રિકોણ પૈકી નીચેના ત્રિકોણમાં ચળકતો લાલ, પીળો, વાદળી કે લીલો રંગ તેમજ ઉપરના ત્રિકોણમાં તેના ઝેરીપણા અંગેની નિશાની ચેતવણી લખેલ ન હોય તે વૃધ્ધિકારકો / જંતુનાશક દવાની બોટલ / પાઉચ / પેકેટ / થેલીમાં રહેલ વૃધ્ધિકારકો / જંતુનાશક દવાની ગુણવત્તાની કોઇ ખાતરી ન હોવાથી આવા વૃધ્ધિકારકો / જંતુનાશકોની ખરીદી ન કરવી,
(8) આ ઉપરાંત ખાતર, બિયારણ અને જંતુનાશક દવાની ગુણવત્તા અંગે કોઇ શંકા કે સંશય હોય તો જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), મદદનીશ ખેતી નિયામકશ્રી (ગુ.નિ), ખેતીવાડી અધિકારી/વિસ્તરણ અધિકારીશ્રી ખેતી મદદનીશો/ગ્રામસેવકનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.