સરકારી યોજનાનો લાભ વાંકાનેરને પણ મળે એવું નગરજનો ઈચ્છી રહ્યા છે
રાજ્યમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ નિવારવા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે આખલાઓના ખસીકરણની રાજ્યવ્યાપી ઝુંબેશનો મોરબી યદુનંદન ગૌશાળા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા જન હિતમાં અન્ય એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. રખડતા ઢોર અને ખાસ કરીને આખલાઓના ત્રાસમાંથી લોકોને મુક્તિ આપવામાં માટે આખલાઓનું ખસીકરણ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેનો મોરબીની યદુનંદન ગૌશાળા ખાતેથી કેબિનેટ મંત્રીએ શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, સરકાર લોકોની સતત ચિંતા કરે છે. રસ્તે રખડતા પશુઓનું સંવર્ધન થાય અને આ ઢોરના કારણે થતા અકસ્માતો, માનવ મૃત્યુ કે ઈજા અને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તે માટે ખાસ આ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી ખાતે પ્રારંભ થતી આ ખસીકરણ ઝુંબેશને એટલી વ્યાપક અને સફળ બનાવવામાં આવે કે, સમગ્ર રાજ્ય માટે નમાનુરૂપ બની રહે. આ ઝુંબેશમાં ગૌશાળાઓ અને વિવિધ સંસ્થાઓ સહિત સામાન્ય જનતાને સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી.
આ તકે મંત્રી સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યદુનંદન ગૌશાળા ખાતે ૫૦ જેટલા આખલા અને વાછરડાઓનું ખસીકરણ કરવામાં આવ્યું હતું.
વાંકાનેરમાં પણ ખૂંટિયાનો ત્રાસ ઓછો નથી. રોડ ઉપર અને શેરીઓમાં ઘણી જગાએ ખૂંટિયાના ટોળા બેઠા-ઉભા હોય છે. ક્યારેક બે ખૂંટિયા બાખડતાં પણ હોય છે. આવા સંજોગોમાં સાંકડા વિસ્તારમાં નાગરિકો બીતા બીતા પસાર થતા હોય છે અને ક્યારેક ખૂંટિયા કઈ દિશા તરફ દોડશે એનું અનુમાન ખોટું પણ પડે છે ત્યારે નાગરિક ઈજાગ્રસ્ત થાય છે. વર્ષોથી વાંકાનેરની આ સમસ્યા રહી છે. ત્યારે રાજ્ય સરકારની આ યોજનાનો લાભ વાંકાનેરને પણ મળે એવું નગરજનો ઈચ્છી રહ્યા છે.