મહીકા ગામની ઘટના
ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ ઝેરી દવા પીઘી
ધાકધમકી આપતાં હોઈ અને માથાકુટ કરવા આવતાં ત્રણેયએ ગભરાઈને આ પગલુ ભર્યું
વાંકાનેર: તાલુકામાં આવતા મહીકા ગામમાં રેતી ખનન, જમીન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ આપઘાત પ્રયાસનો પ્રયાસ કર્યો છે. ઝેરી દવા પી જનાર ત્રણેય ભાઈઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વાડી નદી કાંઠે હોય, ખનન માફિયાઓએ પોતાની લીઝ હોવાનો દાવો કરી ધમકાવતા અને જમીન ખાલી કરી નીકળી જવા ધમકીઓ આપતાં હતા તેવો આક્ષેપ કરાયો છે.
મળેલ જાણકારી મુજબ, મહીકા ગામના કલ્પેશ વિનોદભાઈ બાંભણીયા (ઉંમર વર્ષ 23), વિશાલ વિનોદભાઈ બાંભણીયા (ઉંમર વર્ષ 20) અને યશ હરિભાઈ બાંભણીયા (ઉંમર વર્ષ 18) ગઈ કાલે સવારે 11 વાગ્યા આસપાસ પોતાની વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ત્રણેયને ઇમરજન્સી વિભાગમાં દાખલ કરી ડોકટરોએ સારવાર શરૂ કરી હતી.
બનાવની જાણ રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ રામશીભાઈ વરૂ, એ. જી. મકવાણા, પ્રતાપભાઈ, રવિભાઈ, ધર્મેન્દ્રભાઈએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પેઢી દર પેઢી જે ખેતીની જમીન વાવે છે તે બાજુની જમીનમાં લીઝ રાખનારા શખ્સો ખાલી કરવાનું કહી સતત ધાકધમકી આપતાં હોઈ અને માથાકુટ કરવા આવતાં ત્રણેયએ ગભરાઈને આ પગલુ ભર્યું હતું.
કલ્પેશ અને વિશાલ સગા ભાઈ છે. જ્યારે યશ તેના કાકાનો દીકરો છે. કલ્પેશ અને વિશાલના પિતા વિનોદભાઈ ધરમશીભાઈ બાંભણીયાએ જણાવ્યું કે, તેઓના પિતા સહિતનો પરિવાર પેઢી દર પેઢી આશરે 80 વર્ષથી મહીકામાં નદી કાંઠે આવેલી જમીન વાવે છે. દર મહિને પંચાયતને તેની નિયમ મુજબનું ભાડુ – વેરો ભરે છે. આ તરફ નદી કાંઠે રેતીની લીઝ સરકારે ફાળવી છે. તેવો દાવો કરતા શખ્સો એવુ કહે છે કે જે જમીન તેઓ વાવે છે તે પણ તેને લીઝમાં મળી છે.
અને એટલે ખેતીની જમીન ખાલી કરવી પડશે. પંદરેક દિવસથી આ લોકો સતત ધમકાવે છે. આજે આ લોકોએ વાડીમાં આવી વિશાલ, કલ્પેશ, યશ સાથે માથાકુટ કરી, મારવા દોડ્યા હતા. ત્રણેય ગભરાઈને ભાગ્યા હતા. જેથી ડરીને રીંગણીના છોડમાં છાંટવાની દવા પી ગયા હતાં. આ અંગે હકીકત શું છે તે અંગે પોલીસે નિવેદન લઈ તપાસ આદરી છે…
