વાંકાનેર: તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં લેબર કવાર્ટરમાં પરણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, તેવી જ રીતે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો; જેથી આ બંને બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બંને બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સેન્ટોસા સીરામીક કારખાનામાં ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મૂળ ઓરિસ્સાના રહેવાસી રૂપાલીબેન કૃષ્ણભાઈ બિસ્ક (૧૯)એ પોતે લેબર ક્વાર્ટરમાં હતી ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે નરેશભાઈ પટેલ લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પરણીતાનો લગ્ન ગાળો બે વર્ષનો છે અને તેણે કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. બી.પી. સોનારા ચલાવી રહ્યા છે.
આવી જ રીતે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્ટ્રો વિટ્રીફાઈડ કારખાનામાં રહેતા મૂળ બિહારના રહેવાસી અંકુશકુમાર ક્રિષ્ના ઠાકુર જાતે બ્રાહ્મણ (૨૨) નામના યુવાને પોતે કારખાનાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે કોઈ પણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો, જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે.