સહાય પેકેજ અંગે વિચારણા કરવામાં આવશે
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવાના આદેશ આપ્યા છે.






કૃષિમંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર વિશ્વ ક્લાઈમેટ ચેન્જના પડકારોનો સામનો કરી રહ્યું છે અને તેની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં તેજ પવન અને કમોસમી વરસાદને કારણે ઉભા પાકને નુકસાન થયું હોવાના અહેવાલો સરકારને મળ્યા છે. કુદરતી આફતની આ ઘડીમાં સરકાર ખેડૂતોની ચિંતા સમજે છે. તંત્રને સર્વે માટેની કડક સૂચના ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે હેતુથી કૃષિ વિભાગને નીચે મુજબની કામગીરી કરવા સૂચના અપાઈ છે






તમામ અસરગ્રસ્ત જિલ્લાઓ પાસેથી નુકસાનીનો પ્રાથમિક અહેવાલ મંગાવવામાં આવ્યો છે. કયા વિસ્તારમાં કેટલા ટકા નુકસાન થયું છે તેનો ચોક્કસ આંકડો મેળવવા માટે અધિકારીઓને ખેતર સુધી પહોંચી સર્વે કરવા જણાવાયું છે. સર્વેની કામગીરી પારદર્શક અને ઝડપી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે.







નુકસાનીનો આખરી સર્વે રિપોર્ટ તૈયાર થયા બાદ રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ અંગે વિચારણા કરવામાં આવશે. મંત્રીએ ખાતરી આપી છે કે નિયમો મુજબ ખેડૂતોને વળતર મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. આ મામલે આગામી કેબિનેટ બેઠકમાં ચર્ચા કર્યા બાદ આખરી નિર્ણય જાહેર કરવામાં આવશે…
