૧૦% વ્યાજ ચૂકવવા છતાં ખોટી ધમકીઓ
વાંકાનેર: તાલુકાના લુણસરીયા ગામના દરબાર યુવાનને ધંધામાં નુકશાની જતા અને લગ્ન તારીખ નજીક આવતા જરૂર પડતા મોરબીના એક ઓળખીતા પાસેથી રૂ.૬,૦૦,૦૦૦/- અને વધુ રૂપીયાની જરૂર પડતા ઓળખીતાના ઓળખીતા પાસેથી રૂ.૫,૦૦,૦૦૦/- વ્યાજ ૧૦% લેખે લીધેલ, બદલામાં થાર ગાડીનું નોટરી લખાણ અને ઓરીઝીનલ આર.સી.બુક પોતાની પાસે રાખી લીધેલ અને આજદીન સુધીમાં ફરીયાદીએ રૂ.૧૧,૦૦,૦૦૦/- ની સામે રૂપીયા ૧૨,૭૦,૦૦૦/- ચુકવી આપેલ હોય તેમ છતાં ફરીયાદીને અવાર નવાર વ્યાજની ઉઘરાણી કરવા માટે ગાળો આપી અને ખોટી ધમકી આપી બળજબરીથી વધુ રકમ મેળવવા સારું પઠાણી ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામના દિવ્યરાજસિંહ જયેન્દ્રસિંહ ઝાલા જાતે, દરબાર (ઉ.વ.૨૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે વેપારમાં નુકશાન અને લગ્નની તારીખ નજીક આવતી હોવાથી કોલેજ ફંકશનમાં મળેલ મહેશ્વરી મકવાણા પાસેથી કુલ રૂ.૬,૦૦,૦૦૦/- ઓનલાઈન વ્યાજે લીધેલ, જેનુ ૧૦% વ્યાજ હું તેને તેના ગુગલ પે દ્વારા ચુકવતો હતો અને મે મહિનામાં વળી પાછી
રૂપીયાની જરૂર પડતા મહેશ્વરી મકવાણાના એક મિત્ર આકાશ ગલાભાઇ પરમારે મારી થાર ગાડી જીજે ૧૨ એફબી ૩૬૬૩ વાળીનો વેચાણ કરાર કરાવી તેના બદલે કુલ રૂ.૫,૦૦,૦૦૦/- ૧૦% વ્યાજે આપેલ, અને મારા એકસીસ બેંકના ખાતાના ૬ સહિ વાળા કોરા ચેક લઈ લીધેલ અને વેચાણ કરાર અને આરસી બુક પોતાની પાસે રાખી દીધેલ
ગઈ તા. ૧૨/૧૧/૨૦૨૫ ના આ આકાશભાઇ ગલાભાઈ પરમાર મારી ઓફિસે નર્સરી ચોકડી વાંકાનેર આવેલ મને જેમ ફાવે તેમ ગાળો બોલી વ્યાજની તથા પૈસાની ઉઘરાણી કરવા લાગેલ અને મેં તેને સમજાવેલ કે ‘તમારા પૈસા વ્યાજ સહિત ચુકવી આપેલ છે તમે મને ખોટી રીતે દબાવી મારી પાસેથી મોટુ વ્યાજ લઈ ઘણા દિવસથી હેરાન કરો છો’
હું વેપારીવર્ગનો માણસ હોય ધંધાના કામે પૈસાની જરૂર પડતા આ બન્ને પાસેથી ઉંચા વ્યાજે રૂપીયા ૧૧,૦૦,૦૦૦/- લીધેલ હોય અને તેની સામે વ્યાજસહિત રૂ. ૧૨,૭૦,૦૦૦/- જેટલા પરત કરેલ હોવા છતાં આ બંન્ને મને અવારનવાર હેરાન પરેશાન કરતા હોય અને વધુ રૂપીયા આપવાની માંગ કરતા હોય અને મારી સામે ખોટા કેશ ઉભા કરવાની ધમકી આપતા હોય જેથી આ બન્ને સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે
પોલીસ ખાતાએ મોરબીના બંને શખ્સો સામે ગુન્હો ભારતીય ન્યાય સંહિતા(૨૦૨૩)ની કલમ ૩૦૮(૨),૩૫૨, ૩૫૧(૨), ૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતે અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૪૦, ૪૨ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
