ભાજપના બિનકાર્યક્ષમ શાસનના કારણે શહેરના નાગરિકોને ખાડા ખાબડા વાળા બિસ્માર રોડ રસ્તા પર ચાલવું પડે છે
નગરપાલિકા સદસ્ય અને શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જાગૃતિબેન ચૌહાણનું નિવેદન
વાંકાનેર: શહેરમાં પાછલા લાંબા સમયથી રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે, ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વારંવાર નાના મોટા અકસ્માતો થવાના બનાવો બને છે. બિસ્માર રોડ રસ્તાના કારણે વાંકાનેરના નાગરિકો ત્રસ્ત હોઈ, કોંગ્રેસના નગરપાલિકાના સદસ્યો વારંવાર લેખિત, મૌખિક રજૂઆતો પણ કરે છે.
આ બાબતે વાંકાનેરના વિવિધ વોટ્સએપના ગ્રુપોમાં એક મેસેજ વાયરલ થયો છે. જેમાં નગરપાલિકાનો પક્ષ રાખીને એવું દર્શાવવામાં આવેલ છે કે, વાંકાનેર શહેરના વિવિધ રોડ રસ્તાઓનું કામ મંજુર થઈ ચૂક્યું છે તથા ચોમાસા બાદ આ રસ્તાઓની કામગીરી શરૂ કરવામાં આવશે.
આ વાયરલ મેસેજ બાબતે વાંકાનેર નગરપાલિકાના વિરોધપક્ષના નેતા મહંમદભાઈ રાઠોડે ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયાને ફોન કરી આ વાયરલ મેસેજની વાસ્તવિકતા અંગે સ્પષ્ટતા માંગતા, ચીફ ઓફિસરે જવાબમાં જણાવેલ કે આ મેસેજ સાચો છે. આ કામો અગાઉ મંજુર થઈ ગયા છે અને તેનું કામ હાથ ધરવામાં આવશે.
પ્રશ્ન એ ઉદ્દભવે છે કે, જો રોડ રસ્તાના આ કામો અગાઉ મંજૂર થઈ ચૂક્યા છે તો ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા અત્યાર સુધી કેમ કરવામાં આવ્યા નથી? અગાઉ બે વર્ષના વહીવટદાર શાસનમાં આ કામો મંજુર થયા છે કે તેનાથી અગાઉના ભાજપ શાસનમાં આ કામો મંજૂર થયા છે?
હકીકતમાં ફેબ્રુઆરી- ૨૦૨૫ થી વાંકાનેર નગરપાલિકામાં ભાજપનું હાલનું શાસન કાર્યરત છે. પાછલા ૪-૫ મહિનાઓમાં ભાજપ શાસિત વાંકાનેર નગરપાલિકા અગાઉ મંજુર થયેલા કામો પણ કરી શકતી નથી. ભાજપ શાસિત વાંકાનેર નગરપાલિકા બિનકાર્યક્ષમ સાબિત થઈ છે, ભાજપના શાસકોની બેજવાબદારી અને બિનકાર્યક્ષમતાના કારણે વાંકાનેરના નાગરિકોને ખાડા ખાબડા વાળા જોખમી રોડ રસ્તાઓ પર ચાલવું પડે છે. વાંકાનેર શહેરના નાગરિકો નગરપાલિકાના ભાજપના શાસનથી ત્રાસી ગયા છે અને વાંકાનેર નગરપાલિકાનું ભાજપનું શાસન નિષ્ફળ સાબિત થયું છે. એવું એક યાદીમાં નગરપાલિકાના સદસ્ય અને વાંકાનેર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જાગૃતિબેન ચૌહાણ જણાવે છે…