નગરપાલિકા તંત્રે ધ્યાન દેવાની જરૂર
વાંકાનેર : શહેરમાં છેલ્લા દશકામાં બનેલો શાહબાવાની દરગાહ પાસેનો પુલ જનતા માટે ખાસ ઉપયોગી છે, રાતીદેવરી અને આગળના તમામ ગામોના વાહનો મોટા ભાગે વાંકાનેર શહેરમાં આવવા માટે આ પુલનો જ ઉપયોગ કરે છે, અત્રે રાતીદેવરી- પંચાસર ગામને જોડતો મચ્છુ નદી ઉપર આવેલો ઓવરબ્રિજ પુલ નીચે બેસી જતાં હાલ આ ઓવરબ્રિજ ઉપરથી વાહનવ્યવહાર બંધ કરવામાં આવેલો છે. ત્યારે ભારે વાહનો પણ શાહબાવાની દરગાહ પાસેના આ પુલ પરથી જ પસાર થાય છે, પરંતુ આ પુલનો એક ગાળો એક બાજુથી નીચે બેસી રહ્યો છે…

ગાળાની નીચે બેસતી બાજુએ બે ગાળાને જોઈન્ટ કરતી સપાટી સ્પષ્ટ રીતે ઊંચી-નીચી બની ગઈ છે, જે પહેલા સમતળ હતી, અત્રે કડ પડી ગઈ છે અને થડકો ન લાગે એટલે દ્વિચક્રી વાહનો જ્યાં ઓછી કડ હોય ત્યાં પાછળથી આવતા વાહન સાથે અથડાઈ જવાની ભીતિ વચ્ચે ચલાવવા મજબૂર બને છે, વળી પંચાસર પાસેના પુલનું રીપેરીંગ ચાલુ હોઈ અને ત્યાં અવરજવર શક્ય ન હોઈ ભારે વાહનોની અવરજવર હાલ શાહબાવાની દરગાહ પાસેનો પુલ પરથી જ થઈ રહી છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા નગર પાલિકા તંત્રે આ પુલની ક્ષમતા ચકાસી એડવાઈઝરી જાહેર કરવી જોઈએ. ભારે વાહનનો ભાર નીચે નમતો આ ગાળો ખમી શકે તેમ ન હોય તો પ્રતિબંધ લગાવી ભારે વાહનોને સ્ટેચ્યુ પાસેના પુલ પરથી જ આવવા-જવા વ્યવસ્થા ગોઠવવી જોઈએ…

આ પુલની ઉગમણી બાજુના છેડે પાણીનું ખાબોચિયું ભરાય છે જે પહેલા નહોતું ભરાતું, જે દર્શાવે છે કે કંઈક ગરબડ છે. અધિકારીઓ ગરબડ પકડી યોગ્ય કરે તેવી લોકમાંગ છે….

