સરધારકા ગામની સીમમાં માસૂમ પુત્રને પણ દવા પીવડાવી: પરિણીતાનું મોત
શેખરડી પરણાવેલી પતિને છોડી વગર લગ્ને ગાંગિયાવદર પ્રેમી સાથે રહેતી હતી
વાંકાનેર: તાલુકાના ગાંગિયાવદર ગામની યુવતીએ લગ્ન બાદ પતિને છોડી દઈ પોતાના પ્રેમી સાથે ઘરસંસાર શરૂ કર્યા બાદ પ્રેમીએ ત્રાસ દેવાનું શરૂ કરતા કંટાળી જઈ માસૂમ પુત્રને ઝેરી દવા પીવડાવી દઈ પોતે પણ દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ ગંભીર બનાવના મૃતક પરિણીતાના પિતાએ પોતાની પુત્રીને મરવા મજબુર કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે…

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકના ગાંગિયાવદર ગામે રહેતા રસાભાઈ વેલાભાઈ ડાભી (ઉ.45) ખેડૂતે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી રમેશ ધરમશીભાઈ ધરજીયા રહે. ગાંગિયાવદર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની પુત્રી સુખુબેન ઉર્ફે ભાવુના જ્ઞાતિના રીત રિવાજ મુજબ અગાઉ વર્ષ 2017મા શેખરડી ગામના વિરમભાઈ સરવૈયા સાથે લગ્ન થયા હતા. જે બાદ 

વર્ષ 2021માં સુખુબેન ઉર્ફે ભાવુ ગાંગિયાવદર આંટો મારવા આવ્યા બાદ આરોપી રમેશ ધરજીયા સાથે જતી રહી હતી અને આરોપી રમેશ સાથે જ લગ્ન કર્યા વગર પતિ પત્ની તરીકે રહેતી હતી. સુખુબેનને સંતાનમાં કાર્તિક નામનો પુત્ર પણ હોય રમેશ ત્રાસ આપતો હોવાથી સરધારકા ગામની સીમમાં સુખુબેને પોતે ઝેરી દવા પી લઈ પુત્ર કાર્તિકને પણ દવા પીવડાવી દીધી હતી. જેમાં સુખુબેનનું મોરબી ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નિપજતા આ બનાવ અંગે રસાભાઈએ પોતાની પુત્રીને મરવા મજબુર કરવા અંગે આરોપી રમેશ ધરજીયા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી…
