ચમત્કારથી દશ કરોડ મળશે તેમ કહી ખેડૂત પાસેથી પડાવેલા 22.78 લાખ પોલીસે કબ્જે કર્યા




મળતી માહિતી પ્રમાણે અમરેલી એલસીબીની ટીમે ચમત્કાર કરી 10 કરોડ આપવાની લાલચ આપી છેતરપીંડી કરવા અંગે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામના સલમાનનાથ ઉર્ફે ટપાનાથ બબાનાથ બામણીયા (ઉ.વ.29) જાનનાથ ઉર્ફે જીયાનાથ ભુરાનાથ પરમાર (ઉ.વ.38) અને તુફાનનાથ પોપટનાથ પરમાર (ઉ.વ.40)નામના શખ્સોની ધરપકડ કરી છે. આ ત્રણેય શખ્સોએ દામનગર તાબાના કાચરડી ગામના ખેડૂત ધીરૂભાઇ ડાયાભાઇ કુકડીયાને લાલચમા નાખી શીશામા ઉતાર્યા હતા.
ગત ઓકટોબર માસમા આ શખ્સો સાધુ વેશ ધારણ કરી કાચરડીના ખેડૂતની વાડી પાસે આવ્યા હતા અને ચમત્કારોની વાતો કરી ખેડૂતને ભેાળવ્યો હતો. આ ખેડૂતને એક પેટીમાથી રૂપિયા 10 કરોડની રોકડ રકમ નીકળશે તેમ કહી આ પેટીને 21 તોલા સોનાનો ધુપ આપવાના બહાને બે વખત મળી 22 લાખની વધુની રકમ પડાવી હતી જે અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસવડા હિમકર સિંઘની સુચનાથી એલસીબી પીઆઇ એ.એમ.પટેલ અને તેની ટીમે પગેરૂ દબાવી ત્રણેય શખ્સોને ઠેબી ડેમના પાળા પાસેથી ઝડપી લીધા હતા.
પોલીસે આ શખ્સો પાસેથી રૂપિયા 21.24 લાખની રોકડ રકમ, 52 હજારની સોનાની રૂદ્રાક્ષની માળા તથા 42 હજારની કિમતનો સોનાનો ચેઇન મળી 22.78 લાખનો મુદામાલ કબજે લીધો હતો.