અમદાવાદમાં એક ગૌપાલકને કોર્ટે ત્રણ વર્ષની જેલની સજા કરી
અમદાવાદ: ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યાના કારણે કેટલાય લોકોના જીવ ગયા છે. રસ્તા પર રખડતી ગાય કે આખલાના કારણે કોઈને ઈજા થઈ હોય અથવા મોત થયું હોય તેવી ઘણી ઘટનાઓ બનતી રહે છે. જોકે, અદાલતે આ અંગે કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે જેના કારણે જવાબદાર લોકોને સજા થઈ રહી છે.
આ કેસની વિગત પ્રમાણે જૂન ૨૦૧૯માં સાબરમતી પોલીસ સ્ટેશન એરિયામાં રખડતા ઢોર પકડતી ટીમે બે ગાય અને ત્રણ વાછરડાને પકડ્યા હતા. આ ઢોરને વાડામાં બંધ કરી રાખવાના બદલે રોડ પર રખડતા મૂકી દેવાયા હતા. તેના કારણે આ ઢોરના માલિક હરગોવિંદ દેસાઈ સામે FIR દાખલ કરવામાં આવી હતી. દેસાઈ સામે સેક્શન ૩૦૮, સેક્શન ૨૮૯ વગેરે કલમો લગાડવામાં આવી હતી. તેમની સામે પશુઓની ઉપેક્ષા કરવાનો અને લોકો માટે જોખમી સ્થિતિ પેદા કરવાનો આરોપ લાગ્યો હતો.
ગાયો અને વાછરડાના માલિક હરગોવિંદ દેસાઈ સામે કેસ ચાલ્યો ત્યારે સાક્ષી તરીકે બે પોલીસમેન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે કર્મચારીઓના નિવેદન લેવાયા હતા. આ ઉપરાંત કેટલાક ડોકયુમેન્ટ પણ અદાલતમાં રજુ કરાયા હતા. આ તમામ પૂરાવાના આધારે એડિશનલ સેસન્સ જજ સારંગા વ્યાસે ઢોરના માલિક હરગોવિંદ દેસાઈને રસ્તા પર ઢોર રખડતા છોડી મૂકવાના કેસમાં દોષિત ઠરાવ્યા હતા.
કોર્ટે કહ્યું કે એએમસીની ટીમે ઢોર પકડી લીધા પછી દેસાઈ કોર્પોરેશનના વાડા પર ગયો હતો અને ઢોરને છોડાવી લીધા હતા. તેના પરથી સાબિત થાય છે કે આ ગાયો અને વાછરડા તેની માલિકીના જ હતા. દેસાઈએ જ્યારે કોર્ટને સજામાં રાહત આપવાની વિનંતી કરી ત્યારે જજે કહ્યું કે રખડતા ઢોરના કારણે ઘણા બધા અકસ્માતો થાય છે. ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને સામાન્ય લોકોને તકલીફ પડે છે કારણ કે રોડ પર ઢોર ફરતા હોય છે.
તેથી સમાજમાં દાખલો બેસે તે માટે આ કેસમાં મહત્તમ સજા આપવામાં આવી છે. ૨૦૧૮માં ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર અંગે કડક વલણ અપનાવ્યું ત્યારથી સિવિક ઓથોરિટી અને સિટી પોલિસનું ટેન્શન વધી ગયું છે. હાઈકોર્ટે વારંવાર સત્તાવાળાઓને ઠપકો આપ્યો છે અને રખડતા ઢોરની સમસ્યાનો નિકાલ લાવવા તથા આ અંગે કડક પગલાં લેવા ટકોર કરી છે.
સત્તાવાળાઓના ઢીલા વલણના કારણે ૨૦૧૯માં હાઈકોર્ટમાં કોર્ટના તિરસ્કારની અરજી થઈ હતી. ત્યાર પછી સિવિક ઓથોરિટીએ રખડતા ઢોરને પકડવાની કામગીરી મોટા પાયે વધારી દીધી છે. હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને આ મામલે અત્યાર સુધીમાં શું થયું તેનો રિપોર્ટ દર બે મહિને આપવા જણાવ્યું છે. ત્યાર બાદ રાજ્ય સરકારે પણ આ અંગે એક પોલિસી ઘડવી પડી છે.