વાકાનેર ખાતે જૈન સાધુની દિક્ષા ગ્રહણ કરી સૌભાગ્યચંદ્ર નામ ધારણ કર્યું, જે આગળ જતા મુનિશ્રી સંતબાલજી ક્રાંતિકારી જૈન સંત તરીકે સ્થાપિત થયા
ટંકારા તાલુકાના નાના એવા ટોળ ગામે જન્મેલા અને વાંકાનેર ખાતે જૈન ધર્મની દીક્ષા લઈ જૈન ધર્મમાં ક્રાંતિકારી સંતનો દરજ્જો પામનાર મુનિશ્રી સંતબાલજીના 41મા નિર્વાણ દીને જન્મભૂમિ ટોળ ગામે ઐતિહાસિક સ્મારક સ્થળ, લાઈબ્રેરી સહિતની સુવિધા વિકસાવવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર સહિતના મહાનુભાવોની હાજરીમાં સંકલ્પ કરાયો હતો.




મુનિશ્રી સંતબાલજીનો 41મો નિર્વાણ દિવસ જન્મભૂમિ ટોળ ગામે ગોવિંદસિંહ દાજીભાઈ ડાભી પ્રમુખ ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ રાણપુર (જિ. બોટાદ, દાજીભાઈ ફલજીભાઈ ડાભી પ્રમુખ :ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ ગુંદી અમદાવાદ અને પિનાકી નાનકભાઈ મેઘાણી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર તથા સ્થાપક ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, અમદાવાદ સહિતના અગ્રણીઓની હાજરીમાં ઉજવાયો હતો.



ટંકારા તાલુકાના ટોળ ગામે પિતા નાગજીભાઈ દેવજીભાઈ અને માતા મોતીબેનના કુખે 26-8-1904 ના રોજ સંતબાલજીનો જન્મ થયો હતો બાળપણનુ શિવલાલ નામ હતું 25 વર્ષની નાની વયે 18-1-1929 ના રોજ વાકાનેર ખાતે જૈન સાધુની દિક્ષા ગ્રહણ કરી સૌભાગ્યચંદ્ર નામ ધારણ કર્યું જે આગળ જતા મુનિશ્રી સંતબાલજી ક્રાંતિકારી જૈન સંત તરીકે સ્થાપિત થયા. તેઓશ્રીના જીવનકાળ દરમ્યાન તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો અને અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્યસર્જન કર્યું હતું. તેમની દાયકાઓની વિહારયાત્રામાં તેમણે જૈનધર્મની પ્રભાવના કરવા સાથે, સત્ય અને અહિંસા, સર્વધર્મ સમભાવ, વ્યસનમુક્તિ, અન્યાય પ્રતિકાર, સ્ત્રી ઉત્થાન, માનવરાહત, ધર્મ દૃષ્ટિએ સમાજરચના, ખેડૂતો, આદિવાસીઓ વગેરેના વિવિધ સંગઠનો સાથે સમાજ ઘડતરના કાર્યો કર્યા અને 26 – 3-1982 ના મુબઈ ખાતે નિર્વાણ પામ્યા. જેમની સમાધી સ્થાન ચિચંણી મહાવીરનગર મહારાષ્ટ્ર ખાતે આવેલ છે જ્યા વિશાળ આશ્રમ કાર્યરત છે તેમની પ્રેરણાથી આજે પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ધણી બધી સંસ્થાઓ મુનિશ્રીના આદર્શો, ઉદ્દેશો પ્રમાણે કાર્ય કરી રહી છે.