સંતવાણી, ભોજન અને ધ્વજારોહણના કાર્યક્રમો
ઉજવણીમાં મુસ્લિમ સમાજના યુવકો પણ સેવાનું કાર્ય સંભાળી રહ્યા છે
તમામ માલધારી સમાજ દૂધનું વેચાણ કરતા નથી, બંને ટાઈમનું દૂધ કેરાળા ઠાકરને અર્પણ કરવામાં આવે છે
વાંકાનેર : તાલુકાના કેરાળા ગામે આવેલા રાની મા રૂડી માના ઠાકર મંદિરે તારીખ 20 જૂનના દિવસે અષાઢી બીજનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવશે. અષાઢી બીજના પર્વ નિમિત્તે પરંપરાગત ધ્વજારોહણ, ભોજન અને ભજન એમ ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે, તેમ મહંત મુકેશ ભગતે જણાવ્યું છે.

કેરાળા ગામે યોજાનાર અષાઢી બીજના પર્વની ઉજવણીમાં હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો એકસાથે પ્રસાદ ગ્રહણ કરશે. આ ઉજવણીમાં મુસ્લિમ સમાજના યુવકો પણ સેવાનું કાર્ય સંભાળી રહ્યા છે. અષાઢી બીજનાં પાવન પર્વે કેરાળા ધામ ખાતે સવારે ધ્વજારોહણ, ઠાકર પૂજા અને રાત્રે સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ખ્યાતનામ કલાકારો ભજન સંધ્યામાં જમાવટ કરશે.

કેરાળા ધામ ખાતે અષાઢી બીજની ઉજવણીમાં ગુજરાતભરમાંથી માલધારી સમાજ સહિત તમામ હિન્દુ સમાજના લોકો દર્શન કરવા ઉમટી પડશે. મહંત મુકેશ ભગતના જણાવ્યા મુજબ 12 હજારથી વધુ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવશે.

20 હજાર લોકો જમી શકે તે પ્રમાણે રસોઈ કરવામાં આવશે. મહંત મુકેશભગત દ્વારા જણાવાયું હતુ કે, અષાઢી બીજના દિવસે વાંકાનેર શહેર અને તાલુકાના તમામ માલધારી સમાજ દૂધનું વેચાણ કરતા નથી

બંને ટાઈમનું દૂધ કેરાળા ઠાકરને અર્પણ કરવામાં આવે છે. જેમાંથી દર્શનાર્થીઓને ચા-કોફી તથા જમવામાં પ્રસાદીરૂપે આપવામાં આવે છે.
